યોગથી જોડાયું વિશ્વ! કોલકાતાથી PM મોદીએ આપ્યો એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ



યોગથી જોડાયું વિશ્વ! કોલકાતાથી PM મોદીએ આપ્યો એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ



કોલકત્તા કોલકાતા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું સમાપન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડ રોડ પર યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને યોગના વૈશ્વિક મહત્વ અંગે સંબોધન કર્યું હતું.
કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર તસવીરો શેર કરીને કોલકાતાના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ દિવસના કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યોગના મહત્વનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ વર્ષે યોગ દિવસની થીમ 'સ્વસ્થ આયુ માટે યોગ' રાખવામાં આવી હતી, જેમાં દરેક ઉંમરે સ્વસ્થ અને ફિટ રહેવા માટે યોગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે યોગ દિવસ પહેલા સમગ્ર કોલકાતામાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું, જે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું. શહેરના લોકોએ એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવીને સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 21 જૂન માત્ર વર્ષનો સૌથી લાંબો દિવસ જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કારણે તે વિશ્વના સૌથી મોટા સામૂહિક ઉત્સવનો દિવસ પણ બની ગયો છે. વિશ્વના વિવિધ ખૂણાઓમાંથી યોગની પ્રેરણાદાયી તસવીરો સામે આવી રહી છે.
તેમણે કહ્યું કે હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી, બંગાળથી લઈને સૌરાષ્ટ્ર સુધી સમગ્ર ભારત યોગની ઊર્જાથી ઓતપ્રોત દેખાઈ રહ્યું છે. યોગ લોકોને જોડવાનું કામ કરે છે અને સમગ્ર વિશ્વને એક સૂત્રમાં બાંધે છે. આ અવસરે તેમણે સમગ્ર વિશ્વ અને માનવ સમાજને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.




