વેનેઝુએલાની મદદે ભારત, 'ઓપરેશન અમિસ્તાદ' શરૂ



વેનેઝુએલાની મદદે ભારત, 'ઓપરેશન અમિસ્તાદ' શરૂ



નવી દિલ્હી: ઉત્તર વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારતે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે 'ઓપરેશન અમિસ્તાદ' શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક તબીબી સહાય અને રાહત સામગ્રી સાથે વિશેષ ટીમ વેનેઝુએલા મોકલી છે.
ભારતીય સેનાના 60 પેરા ફિલ્ડ હોસ્પિટલના 41 સભ્યોની વિશેષ મેડિકલ ટીમ ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન દ્વારા વેનેઝુએલા પહોંચી રહી છે. ટીમમાં નવ અનુભવી સૈન્ય ડૉક્ટરોનો સમાવેશ થાય છે, જે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી સારવાર, સર્જરી, ટ્રોમા મેનેજમેન્ટ અને ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર કરશે.
ભારતીય સેના સાથે અંદાજે 35 ટનથી વધુ રાહત સામગ્રી, દવાઓ અને તબીબી સાધનો મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલા બે અત્યાધુનિક 'ભીષ્મ ક્યુબ' પણ મોકલવામાં આવ્યા છે.
'ભીષ્મ ક્યુબ' એક આધુનિક મોડ્યુલર ફિલ્ડ હોસ્પિટલ છે, જેને ખૂબ ઓછા સમયમાં કાર્યરત કરી શકાય છે. આ સિસ્ટમ એકસાથે લગભગ 200 દર્દીઓને ટ્રોમા કેર, ઇમરજન્સી સર્જરી અને જીવનરક્ષક સારવાર પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને ત્યાંના લોકોની સાથે મજબૂતીથી ઉભું છે. તેમણે કહ્યું કે ભારત જરૂરિયાત મુજબ દરેક શક્ય મદદ આપવા પ્રતિબદ્ધ છે.
ભારતનું આ મિશન માત્ર રાહત સામગ્રી મોકલવા પૂરતું નથી, પરંતુ સંકટના સમયમાં મિત્ર દેશોની સાથે ઊભા રહેવાની તેની નીતિનું પણ પ્રતિક છે. 'વસુધૈવ કુટુંબકમ્'ના સિદ્ધાંતને અનુસરતા ભારતે ફરી એકવાર વૈશ્વિક માનવતા અને સહકાર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ અભિયાન વેનેઝુએલાના હજારો ભૂકંપ પીડિતો માટે આશાની નવી કિરણ સાબિત થઈ શકે છે.




