પાસપોર્ટના રંગથી ઓળખાય છે તમારું સ્ટેટસ, વાંચો રસપ્રદ માહિતી



પાસપોર્ટના રંગથી ઓળખાય છે તમારું સ્ટેટસ, વાંચો રસપ્રદ માહિતી



Passport Types: ભારતમાં પાસપોર્ટનું નામ લેતા જ આપણા મનમાં બ્લુ રંગની નાની બુક આવે છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા કે ભારતીય પાસપોર્ટના અલગ-અલગ પ્રકાર હોય છે, જે વ્યક્તિની ભૂમિકા અને હેતુ પ્રમાણે આપવામાં આવે છે. ઘણા ભારતીયો કદાચ જાણતા નહીં હોય કે ભારતમાં વિવિધ પ્રકારના પાસપોર્ટ હોય છે. પાસપોર્ટના કવર જોઇને ઓળખી શકાય થછે કે તે કોઇ સામાન્ય નાગરિકનો પાસપોર્ટ છે કે કોઇ નેતા, અઘિકારી કે ઉચ્ચ વર્ગના લોકોનો.. હકિકતે, સરકાર ભારતના નાગરિકોને 4 પ્રકારના પાસપોર્ટ જારી કરે છે. અમે તમને જણાવી દઇએ કે આ 4 પ્રકારના પાસપોર્ટ કેવા હોય છે અને તે કોને આપવામાં આવે છે.
બ્લુ પાસપોર્ટ
બ્લુ પાસપોર્ટ સામાન્ય નાગરિકો માટે હોય છે. આ પાસપોર્ટનો ઉપયોગ ટુરિઝમ, અભ્યાસ, બિઝનેસ અથવા અન્ય વ્યક્તિગત કારણોસર વિદેશ પ્રવાસ માટે થાય છે. ભારતમાં મોટાભાગના લોકો પાસે આ જ પાસપોર્ટ હોય છે.
સફેદ પાસપોર્ટ
સફેદ પાસપોર્ટ સરકારી અધિકારીઓ માટે આપવામાં આવે છે. જ્યારે તેઓ સરકારના અધિકૃત કામ માટે વિદેશ જાય છે ત્યારે આ પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આ પાસપોર્ટથી તેમની ઓળખ સરળ બને છે. IAS અધિકારીઓ સામાન્ય રીતે સત્તાવાર કામકાજ માટે વિદેશ પ્રવાસ કરતી વખતે સફેદ પાસપોર્ટનો ઉપયોગ કરે છે. જોકે, સત્તાવાર કામકાજ માટે વિદેશ પ્રવાસ કરતા સરકારી કર્મચારીઓને આ પાસપોર્ટ મળે છે.
મરૂન પાસપોર્ટ
મરૂન રંગનો પાસપોર્ટ ડિપ્લોમેટિક પાસપોર્ટ તરીકે ઓળખાય છે. આ ભારતીય વિદેશ સેવામાં કામ કરતા નાગરિકો માટે છે. આ પાસપોર્ટ ઉચ્ચ સ્તરના અધિકારીઓ અને ડિપ્લોમેટ્સને આપવામાં આવે છે, જેમ કે વિદેશ સેવા (IFS)ના અધિકારીઓ. તેમને વિદેશમાં કેટલીક વિશેષ સુવિધાઓ પણ મળે છે.
ઓરેન્જ પાસપોર્ટ
ઓરેન્જ રંગનો પાસપોર્ટ ભારતના એવા નાગરિકો માટે છે જેઓ 10મું પાસ નથી. આ પાસપોર્ટ ધારકોને ECR શ્રેણીમાં રાખવામાં આવે છે. ઓરેન્જ પાસપોર્ટ ધરાવતા લોકોને એરપોર્ટ પર વધારાની ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઓરેન્જ રંગના પાસપોર્ટમાં છેલ્લા પાના પર સરનામું હોતું નથી, જેનો અર્થ એ થાય કે તેઓ જ્યારે પણ વિદેશ મુસાફરી કરે છે ત્યારે તેમને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થવું પડે છે.




