પરીક્ષામાં પાસિંગ માર્ક્સ 33 ટકા જ કેમ? જાણો તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ



પરીક્ષામાં પાસિંગ માર્ક્સ 33 ટકા જ કેમ? જાણો તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ



33 Percent Passing Marks Rule: ભારતમાં શાળા સ્તરની મોટાભાગની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને પાસ ગણાવવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા જરૂરી હોય છે. વર્ષોથી ચાલતી આ વ્યવસ્થા આજે પણ દેશના અનેક શિક્ષણ બોર્ડમાં અમલમાં છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાસિંગ માર્ક્સ 33 ટકા જ કેમ નક્કી કરવામાં આવ્યા? 40 ટકા કે 50 ટકા કેમ નહીં?
હકીકતમાં, 33 ટકા પાસિંગ માર્ક્સનો નિયમ ભારતના ઔપનિવેશિક ઇતિહાસ સાથે જોડાયેલો છે. આ વ્યવસ્થા બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, વર્ષ 1858માં અંગ્રેજોએ ભારતમાં પ્રથમ વખત મેટ્રિક પરીક્ષા યોજી હતી. તે સમયે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા બ્રિટિશ સરકારના નિયંત્રણ હેઠળ હતી.
બ્રિટનમાં તે સમય દરમિયાન કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 65 ટકા ગુણ મેળવવા જરૂરી માનવામાં આવતા હતા. જોકે, ભારતમાં બ્રિટિશ અધિકારીઓએ પાસિંગ માર્ક્સ માત્ર 33 ટકા નક્કી કર્યા હતા. કહેવાય છે કે બ્રિટિશ શાસકો ભારતીય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર બ્રિટિશ વિદ્યાર્થીઓની સરખામણીએ ઓછું માનેતા હતા, જેના કારણે અહીં પાસ થવા માટેનું ધોરણ નીચું રાખવામાં આવ્યું હતું.
સમય જતાં શિક્ષણ વ્યવસ્થામાં અનેક ફેરફારો થયા, પરંતુ 33 ટકાના પાસિંગ માર્ક્સનો નિયમ મોટા ભાગે યથાવત રહ્યો. હાલમાં પણ CBSE સહિત ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢ જેવા અનેક રાજ્યોના શિક્ષણ બોર્ડમાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા જરૂરી છે.
જોકે, કેટલાક રાજ્યોમાં અલગ નિયમો પણ છે. ઉદાહરણ તરીકે, કેરળ બોર્ડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પાસ થવા માટે 30 ટકા ગુણ જરૂરી છે. બીજી તરફ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ માટે ઘણી વખત 95થી 100 ટકા સુધીના ગુણોની જરૂર પડે છે.
પાકિસ્તાનમાં તાજેતરમાં પાસિંગ માર્ક્સ 33 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવ્યા છે, જ્યારે બાંગ્લાદેશમાં પણ પરીક્ષા પદ્ધતિમાં સુધારાઓની પ્રક્રિયા ચાલુ છે.




