કેતન મર્ડર કેસ: 'બહેને પહેલા ના પાડી હોત તો લગ્ન જ રદ કરી દેતા',10 કલાકની પૂછપરછમાં ભાઈનું નિવેદન



કેતન મર્ડર કેસ: 'બહેને પહેલા ના પાડી હોત તો લગ્ન જ રદ કરી દેતા',10 કલાકની પૂછપરછમાં ભાઈનું નિવેદન



પુર્ણે પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસમાં પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલના ભાઈ સાહિલ ગોયલની લાંબી પૂછપરછ કરી છે. શુક્રવારે સવારે પૂછપરછ માટે બોલાવવામાં આવેલા સાહિલની લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે તેને જવા દેવામાં આવ્યો હતો.
પોલીસે પૂછપરછ દરમિયાન સિયા ગોયલ અને સહઆરોપી ચેતન ચૌધરી વચ્ચેના સંબંધો, બંનેના સંપર્ક તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન સાહિલે પોલીસને જણાવ્યું કે, "જો સિયાએ પરિવારને પહેલા જ કહી દીધું હોત કે તેને કેતન પસંદ નથી અને લગ્ન કરવા નથી, તો અમે જાતે જ લગ્ન રદ કરી દીધા હોત."
પોલીસના જણાવ્યા મુજબ, 18 જૂને લોનાવાલાના લોહગઢ કિલ્લા પર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કેતન અગ્રવાલને ખીણમાં ધક્કો મારી તેની હત્યા કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે સિયા નવેમ્બરમાં થનારા લગ્ન કરવા ઇચ્છતી નહોતી, જેના કારણે બંનેએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
કેતન અગ્રવાલ પોતાના પરિવારની રિયલ એસ્ટેટ કંપની 'સક્સેસ ગ્રુપ'માં ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે કાર્યરત હતો. શરૂઆતમાં આ ઘટનાને ટ્રેકિંગ દરમિયાન થયેલો અકસ્માત માનવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં તે પૂર્વનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું.
આ કેસ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેતનના પરિવાર સાથે મુલાકાત કરીને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરિવારની માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાનો નિર્ણય લીધો છે અને વરિષ્ઠ વકીલ ઉજ્જ્વલ નિકમને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.
મુખ્યમંત્રી ફડણવીસે આ ઘટનાને માત્ર ગુનાખોરી નહીં પરંતુ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવી કહ્યું કે શિક્ષિત અને સારા પરિવારોના યુવાનોમાં આવી ગુનાહિત માનસિકતા કેમ વિકસી રહી છે તે અંગે સમાજે આત્મમંથન કરવાની જરૂર છે.




