જામનગરનું ગૌરવ: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહાતીર્થ બની



જામનગરનું ગૌરવ: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહાતીર્થ બની



જામનગર: શહેરની પ્રતિષ્ઠિત શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ આજે સ્વાસ્થ્ય સેવા અને તબીબી શિક્ષણનું અગ્રણી કેન્દ્ર બની ગઈ છે. રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીના ભૂમિદાન અને દાનવીર શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહના આર્થિક સહયોગથી સ્થાપિત આ સંસ્થા આજે વટવૃક્ષ સમાન વિકસિત થઈ છે.
વર્ષ 1955માં માત્ર 60 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ મેડિકલ કોલેજે આજે દેશ-વિદેશને 10,000થી વધુ કુશળ તબીબો આપીને માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સંસ્થાની સાથે સંકળાયેલી ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે જીવનદાયિની બનીને લાખો દર્દીઓને વિનામૂલ્યે અને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી રહી છે.
આ સંસ્થાના પાયા જામનગરના પ્રજાવત્સલ રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી દ્વારા મૂકવામાં આવ્યા હતા. તેમણે 61 એકર જમીન સખાવતમાં આપી હતી, જ્યારે લંડન સ્થિત ઉદ્યોગપતિ શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહે વર્ષ 1954માં રૂ.15 લાખનું ઉદાર દાન આપ્યું હતું, જેનું મૂલ્ય આજના સમયમાં અંદાજે રૂ.250થી રૂ.300 કરોડ જેટલું ગણાય છે.
આ ભૂમિદાન અને અર્થદાનના સંયોજનને કારણે આ સંસ્થા સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે એક અનોખું કેન્દ્ર બની છે. હાલ સંસ્થામાં દર વર્ષે 250 MBBS બેઠકો, 243 PG બેઠકો અને 5 સુપર સ્પેશિયાલિટી બેઠકો દ્વારા ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલના બાળ રોગ વિભાગના પ્રાધ્યાપક ડો. મૌલિક શાહે જણાવ્યું કે જામ સાહેબ અને શેઠ મેઘજી પેથરાજ શાહનું યોગદાન સમગ્ર હાલાર પંથક માટે અવિસ્મરણીય છે, જે આજે પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ છે.




