તેલ સંકટમાં ભારત જીવનરેખા બન્યું, ચીનની રણનીતિ નિષ્ફળ



તેલ સંકટમાં ભારત જીવનરેખા બન્યું, ચીનની રણનીતિ નિષ્ફળ



Iran Israel War: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેલ પુરવઠા પર અસર પડી રહી છે અને વૈશ્વિક ભાવમાં વધારો થઈ રહ્યો છે. આની સીધી અસર દક્ષિણ એશિયાના દેશો પર પડી રહી છે. કારણ કે, તેઓ તેલ માટે ખાડી દેશો પર નિર્ભર છે અને આર્થિક આંચકાઓનો સામનો કરવા માટે મર્યાદિત સંસાધનો ધરાવે છે.
આવા સમયે, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને માલદીવ જેવા નાના દેશોએ ચીનને બદલે ભારત તરફ મદદ માગી છે. આનું મુખ્ય કારણ એ છે કે, ભારત ઝડપથી અને સીધું ઇંધણ પૂરું પાડી શકે છે. તાજેતરના મહિનાઓમાં ભારતે આ દેશોને પેટ્રોલ, ડીઝલ, LPG અને LNG સપ્લાય કર્યા છે.
ઉદાહરણ તરીકે, ભારતે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં હજારો ટન ઇંધણ મોકલ્યું છે અને નેપાળ અને માલદીવને સહાય પૂરી પાડવા માટે પણ કામ કરી રહ્યું છે. તેનાથી ભારતને પ્રથમ પ્રતિભાવ આપનાર દેશ તરીકે સ્થાન મળ્યું છે, જે કટોકટીના સમયે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.
બીજી બાજુ, ચીનની વ્યૂહરચના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પર આધારિત છે. જેમાં મોટાપાયે માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ લાંબા ગાળે ફાયદાકારક છે, પરંતુ કટોકટીના સમયે તાત્કાલિક રાહત પૂરી પાડવામાં એટલા અસરકારક નથી.
તેથી, કટોકટીના સમયે દક્ષિણ એશિયાઈ દેશો એવા દેશો પસંદ કરી રહ્યા છે, જે ઝડપી સહાય પૂરી પાડી શકે. ભારતની આ ક્ષમતા તેને પ્રદેશમાં એક વિશ્વસનીય અને મજબૂત ભાગીદાર બનાવી રહી છે.




