ભારતનું 'ઓપરેશન અમિસ્તાદ': ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને 35 ટન રાહત સામગ્રી અને ફીલ્ડ હોસ્પિટલ મોકલી



ભારતનું 'ઓપરેશન અમિસ્તાદ': ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને 35 ટન રાહત સામગ્રી અને ફીલ્ડ હોસ્પિટલ મોકલી



નવી દિલ્હી: વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારતે મિત્ર દેશની મદદ માટે માનવતાનો હાથ લંબાવ્યો છે. 'ઓપરેશન અમિસ્તાદ' હેઠળ ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન દ્વારા 35 ટન રાહત સામગ્રી, અદ્યતન મેડિકલ સાધનો, ફીલ્ડ હોસ્પિટલ અને 41 સભ્યોની વિશેષ મેડિકલ ટીમ વેનેઝુએલા મોકલવામાં આવી છે. ભારતની આ ત્વરિત મદદથી ત્યાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યને મહત્વનો વેગ મળશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ભારતની મદદ સફળતાપૂર્વક વેનેઝુએલા પહોંચી ગઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફીલ્ડ હોસ્પિટલ, રાહત સામગ્રી, દવાઓ અને મેડિકલ સાધનો સ્થાનિક રાહત કામગીરીને વધુ મજબૂત બનાવશે.
કોટ ડી આઈવોર સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન આબિદજાન મારફતે વેનેઝુએલા પહોંચ્યા હતા. તેમાં 35 ટન રાહત સામગ્રી ઉપરાંત ભારતીય સેનાની ફીલ્ડ હોસ્પિટલ ટીમ અને બે BHISHM (ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિત એન્ડ મિત્રતા) ક્યુબ પણ મોકલવામાં આવ્યા છે.
41 સભ્યોની ટીમમાં 9 ડોક્ટરો સામેલ
ભારતીય સેનાની 41 સભ્યોની વિશેષ મેડિકલ ટીમમાં 9 અનુભવી મેડિકલ ઓફિસરોનો સમાવેશ થાય છે. આ ટીમ ઇમરજન્સી સારવાર, ટ્રોમા મેનેજમેન્ટ, જીવનરક્ષક સર્જરી સહિતની મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં સક્ષમ છે. ટીમ પોતાના સાથે વિદેશ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અંદાજે 6 ટન દવાઓ અને અન્ય માનવતાવાદી રાહત સામગ્રી પણ લઈ ગઈ છે.
માનવતાપ્રતિ ભારતની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે 'ઓપરેશન અમિસ્તાદ' માત્ર રાહત અભિયાન નથી, પરંતુ આપત્તિના સમયમાં મિત્ર દેશોની મદદ માટે ભારતની અડગ પ્રતિબદ્ધતા અને ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતાનું પ્રતિક છે.
બે શક્તિશાળી ભૂકંપે મચાવ્યો વિનાશ
બુધવારે વેનેઝુએલામાં થોડા જ સેકન્ડના અંતરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.1 અને ત્યારબાદ બીજા ભૂકંપની તીવ્રતા 7.5 નોંધાઈ હતી. બંને ભૂકંપનું કેન્દ્ર રાજધાની કારાકાસથી લગભગ 160 કિલોમીટર દૂર મોરોન નજીક હતું અને તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હોવાથી ભારે નુકસાન થયું હતું.
સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં 1,430 લોકોના મોત, 3,238 લોકો ઘાયલ થયા છે, જ્યારે 3,142 પરિવારો આ કુદરતી આપત્તિથી પ્રભાવિત થયા છે. ઉપરાંત અત્યાર સુધીમાં 430થી વધુ આફ્ટરશોક્સ પણ નોંધાયા છે, જેના કારણે લોકોમાં હજુ પણ ભયનો માહોલ યથાવત છે.




