હવામાન પલટાયું! દિલ્હી, યુપી-બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ



હવામાન પલટાયું! દિલ્હી, યુપી-બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ



નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (NCR) સહિત દેશના અનેક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સવારથી જ આકરો તડકો અને ગરમ પવનોને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જોકે, આ ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આગામી શનિવાર એટલે કે 30 મેના રોજ દેશના ૧૯ રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે અને ધોધમાર વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.
દિલ્હી-NCRમાં તાપમાન ગગડશે, ગરમીથી મોટી રાહ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી થોડા દિવસો સુધી તેજ વાવાઝોડું, હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની પ્રબળ સંભાવના છે. આનાથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે. આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાન 34 થી 37 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે, જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે.
UP-બિહારમાં 85 કિમીની ઝડપે પવન અને તોફાનનું એલર્ટ
ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, કાનપુર, ગોરખપુર, અયોધ્યા અને બરેલી સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, બિહારના પશ્ચિમ ચંપારણ, ગયા, પૂર્ણિયા, કટિહાર અને કિશનગંજમાં પણ 70 થી 80 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે તેજ વરસાદની ચેતવણી જારી કરાઈ છે.
ઝારખંડ અને બંગાળમાં વીજળી પડવાનો ખતરો
ઝારખંડના રાંચી, ધનબાદ, દેવઘર અને બોકારોમાં વરસાદનું એલર્ટ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ, માલદા અને નોર્થ 24 પરગણામાં પણ હવામાન ખરાબ રહેશે. હવામાન વિભાગે લોકોને આકાશી વીજળી અને ઝાડ પડી જવા જેવી ઘટનાઓથી ખાસ સાવધ રહેવા તાકીદ કરી છે.
પહાડી રાજ્યોમાં પણ એલર્ટ: પ્રવાસીઓ માટે સૂચના
જો તમે ગરમીથી બચવા માટે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીર જવાનું વિચારી રહ્યા છો, તો હવામાનની સ્થિતિ જાણી લેવી જરૂરી છે. ઉત્તરાખંડના દેહરાદૂન, ચમોલી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદની સંભાવના છે. હિમાચલના શિમલા અને કુલ્લુમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ તોફાનની ચેતવણી છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને અસામ જેવા રાજ્યોમાં પણ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે માછીમારોને નદી અને દરિયા કિનારે ન જવાની સલાહ આપી છે અને ખરાબ હવામાન દરમિયાન લોકોને ઘરોમાં સુરક્ષિત રહેવા અપીલ કરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



