ફ્રિજમાં રાખેલું બચેલું ભોજન કેટલા દિવસ સુધી સુરક્ષિત? મહત્વપૂર્ણ સલાહ



ફ્રિજમાં રાખેલું બચેલું ભોજન કેટલા દિવસ સુધી સુરક્ષિત? મહત્વપૂર્ણ સલાહ



Fridge Leftovers Expiry: ઉનાળાની ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જતો હોવાથી ઘણા લોકો બચેલું ભોજન ફ્રિજમાં રાખીને પછીથી ઉપયોગ કરે છે. જોકે, ફ્રિજમાં રાખેલું ભોજન પણ અનંત સમય સુધી સુરક્ષિત રહેતું નથી. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યોગ્ય રીતે સંગ્રહ કરાયેલું બચેલું ભોજન સામાન્ય રીતે 3 થી 4 દિવસ સુધી જ સુરક્ષિત ગણાય છે.
દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ ફિઝિશિયન ડૉ. અનિલ બંસલના જણાવ્યા મુજબ, તૈયાર કરેલું ભોજન શક્ય હોય તો 2થી 3 કલાકની અંદર ખાઈ લેવું જોઈએ. જો ભોજન બચી જાય તો તેને વધુ સમય રૂમ ટેમ્પરેચર પર રાખવાને બદલે શક્ય તેટલી વહેલી તકે ફ્રિજમાં મૂકી દેવું જોઈએ. યોગ્ય તાપમાન અને સતત વીજ પુરવઠો હોય તો ખોરાક 3થી 4 દિવસ સુધી સલામત રહી શકે છે, પરંતુ ત્યારબાદ તેમાં બેક્ટેરિયાનો વિકાસ થવાની શક્યતા વધી જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાંધેલા ચોખા 1થી 2 કલાકની અંદર ફ્રિજમાં મૂકી દેવા જોઈએ અને 3 દિવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. દાળ અને શાકભાજી સામાન્ય રીતે 3થી 4 દિવસ સુધી સુરક્ષિત રહે છે, જ્યારે દૂધમાંથી બનેલી વસ્તુઓ જેમ કે પનીર, કસ્ટર્ડ અને મીઠાઈઓ 2થી 3 દિવસમાં જ ઉપયોગમાં લેવી વધુ યોગ્ય ગણાય છે. ચિકન, મટન અને અન્ય નોન-વેજ ખોરાક પણ 3થી 4 દિવસ સુધી જ ફ્રિજમાં રાખવા જોઈએ.
ખોરાકને એરટાઇટ ડબ્બામાં સંગ્રહ કરવો, ફ્રિજનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું રાખવું અને ખોરાકને વારંવાર ગરમ-ઠંડું ન કરવું મહત્વપૂર્ણ છે. જો ખોરાકમાંથી ખાટી ગંધ આવે, રંગ બદલાઈ ગયો હોય, ચીકણાશ દેખાતી હોય અથવા ફૂગ જોવા મળે તો તેને તરત જ ફેંકી દેવું જોઈએ. આવા ખોરાકનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ સહિતની ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.




