આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, 5 IAF જવાનો શહીદ



આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, 5 IAF જવાનો શહીદ



Assam Plane Crash: શનિવારે આસામના જોરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું હતું. આ દુ:ખદ અકસ્માતમાં વાયુસેનાના પાંચ જવાનો શહીદ થયા હતા, જ્યારે સહ-પાયલટ ગંભીર ઇજાઓ સાથે બચી ગયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
ભારતીય વાયુસેનાએ આ અકસ્માત અંગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘આસામના જોરહાટમાં AN-32 વિમાન દુર્ઘટનામાં અમારા પાંચ કર્મચારીઓના મોતથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારમ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમે ફરજ બજાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું. ભારતીય વાયુસેના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે મજબૂત રીતે ઉભું છે.’
ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન અરુણાચલ પ્રદેશથી જોરહાટ પરત ફરી રહ્યું હતું. એરબેઝ પરિસરમાં ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું છે, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
લેન્ડિંગ દરમિયાન અકસ્માત
અહેવાલો અનુસાર, એરબેઝ પર ઉતરાણ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વાયુસેનાનું વિમાન બે ટુકડા થઈ ગયા હતા અને ઘટનાસ્થળેથી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. વિમાનમાં સવાર કર્મચારીઓની સંખ્યા અને તેમની સ્થિતિ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.




