આશા ભોંસલે પંચમહાભૂતમાં વિલીન, પૌત્રી જનાઈ પોક મૂકીને રડી પડી



આશા ભોંસલે પંચમહાભૂતમાં વિલીન, પૌત્રી જનાઈ પોક મૂકીને રડી પડી



Asha Bhosle Funeral: બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોસલે આખરે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. તેમના પુત્ર આનંદે તેમને અગ્નિદાહ આપ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો સહિત ગાયકો તેમના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.
શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. બોલિવૂડ ગાયકોએ "અભી ના જાઓ છોડકર" ગાઈને તેમને ભાવનાત્મક વિદાય આપી.આ ઉપરાંત આશાના બહેન ઉષા મંગેશકર પણ પરિવાર સાથે તેમના અંતિમસંસ્કારમાં પહોંચ્યા હતા. જ્યાં અંતિમ વખતે દાદીને જોઈને પુત્રી જનાઈ ધ્રુસકે ધ્રુસકે પોક મૂકીને રડી પડી હતી. આ કરૂણ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવારે આશા ભોંસલેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વહેલી સવારે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે' ખાતે રાખવામાં આવ્યો હતો. આ પહેલાં તેમને તિરંગામાં લપેટીને ઔપચારિક સલામી આપવામાં આવી હતી.
મુશ્કેલીઓ સાથે શરૂ થયેલી કારકિર્દી
આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર, 1933ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. તે પંડિત દીનાનાથ મંગેશકરની ત્રીજી પુત્રી હતી. તેમની મોટી બહેન લતા મંગેશકર હતી, જે બોલિવૂડની બુલબુલ તરીકે જાણીતી હતી. ભોંસલેએ 10 વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમનું પહેલું ગીત મરાઠીમાં હતું, જેનું નામ હતું "ચલા ચલા નવ બાલ." આશાએ આ ગીત તેની બહેન લતા મંગેશકર સાથે ગાયું હતું. જો કે, તેમણે 16 વર્ષની ઉંમરે ફિલ્મ "રાત કી રાની" માટે ગીત ગાઈને ઓળખ મેળવી હતી. ગાયિકાએ આ ફિલ્મમાં તેનું પહેલું સોલો ગાયું, જેનાથી તેણી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા
આશા ભોંસલેની તબિયત બગડતા તેમને 11 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 એપ્રિલે તેમનું અવસાન થયું. તેમની પૌત્રી જનાઈ ભોંસલેએ જણાવ્યું કે, તેમને છાતીમાં ચેપ હતો. જનાઈએ બધાને આશા અને તેમના પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી હતી.




