સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળ છુપાયેલું છે મોટું આર્થિક ગણિત



AI Image
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળ છુપાયેલું છે મોટું આર્થિક ગણિત



AI Image
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે વડાપ્રધાન Narendra Modiએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સાથે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી છે. પીએમ મોદીની આ અપીલ પાછળ દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત રાખવાનું મોટું આર્થિક ગણિત જોડાયેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો સોનાખરીદદાર દેશ છે. દેશમાં ઉપયોગમાં લેવાતું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરવામાં આવે છે અને તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતે અંદાજે 72 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં 24 ટકા વધુ હતું.
આંકડાઓ મુજબ ભારત જેટલી કુલ આયાત કરે છે તેમાં લગભગ 10 ટકા હિસ્સો માત્ર સોનાનો જ છે. આવી સ્થિતિમાં જો લોકો સોનાની ખરીદીમાં ઘટાડો કરે તો દેશમાંથી બહાર જતા ડોલરની માત્રામાં ઘટાડો થઈ શકે છે.
આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો એક વર્ષ માટે સોનાની આયાતમાં 30થી 40 ટકા સુધી ઘટાડો થાય તો દેશના અંદાજે 20થી 25 બિલિયન ડોલર સુધી બચી શકે છે. ડોલરની માંગ ઓછી થતા ભારતીય રૂપિયો મજબૂત બનશે અને બચેલા ડોલરનો ઉપયોગ ક્રૂડ ઓઈલ જેવી જરૂરી આયાત માટે થઈ શકશે.
હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને પાર પહોંચી ગયા છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ માની વધુ ખરીદી કરતા હોય છે, જેના કારણે દેશમાંથી વધુ ડોલર બહાર જાય છે.
એવામાં પીએમ મોદીની અપીલનો મુખ્ય હેતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાનો, વિદેશી મુદ્રા ભંડાર બચાવવાનો અને વધતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતને વધુ મજબૂત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.




