વૈશ્વિક અસ્થિરતા વચ્ચે શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો



વૈશ્વિક અસ્થિરતા વચ્ચે શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો



Share Market Today: ભારતીય શેરબજાર સોમવારે કારોબારી સત્રમાં લાલ નિશાનમાં બંધ થયું છે. દિવસના અંતે સેન્સેક્સ 508.40 અંક અથવા 0.68 ટકા ઘટાડા સાથે 74,267.34 પર અને નિફ્ટી 165.15 અંક અથવા 0.70 ટકા ઘટાડા સાથે 23,382.60 પર બંધ થયો છે.
બજારમાં ચારે તરફ ઘટાડો જોવા મળ્યો છે. લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 895.85 અંક અથવા 1.45 ટકા ઘટાડા સાથે 60,827.95 પર રહ્યો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 159 અંક અથવા 0.99 ટકા ઘટાડા સાથે 17,979.80 પર બંધ થયો છે.
નિફ્ટી FMCG, નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ, નિફ્ટી PSU બેંક, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ઓટો, નિફ્ટી કન્ઝમ્પશન, નિફ્ટી એનર્જી અને નિફ્ટી ઈન્ફ્રા સૌથી વધુ ઘટેલા સૂચકાંકો રહ્યા છે. જ્યારે નિફ્ટી IT, નિફ્ટી મીડિયા અને નિફ્ટી મેટલ લીલા નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ પેકમાં ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS, ઈન્ડિગો, HCL ટેક અને ટાટા સ્ટીલ ગેનર્સ રહ્યા છે. તો HUL, ITC, NTPC, M&M, કોટક મહિન્દ્રા બેંક, ટ્રેન્ટ, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, L&T, મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વ લૂઝર્સ રહ્યા છે.
SBI સિક્યોરિટીઝના ટેક્નિકલ અને ડેરિવેટિવ્સ રિસર્ચ હેડ સુદીપ શાહે જણાવ્યું કે, નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ 23,250-23,230 આસપાસ છે. જો અહીંથી વધુ ઘટાડો થાય તો તે 23,100 સુધી જઈ શકે છે. ટૂંકા ગાળામાં રુકાવટનું સ્તર 23,530-23,550 છે. તેમણે આગળ જણાવ્યું કે, બેંક નિફ્ટી માટે સપોર્ટ 53,200-53,100 વચ્ચે છે, જ્યારે અવરોધનું સ્તર 54,000-54,100 વચ્ચે છે.
બજાર ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા-ઈરાન વચ્ચેના શાંતિ સમજૂતીને લઈને અનિશ્ચિતતા હોવાનું જણાવાયું છે. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથેનો અમેરિકાનો કરાર ન્યુક્લિયર સંબંધિત છે અને તે ડીલ અંગે તેઓ ઉતાવળમાં નથી. બીજી તરફ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની ભારે વેચવાલીએ પણ બજાર પર દબાણ વધાર્યું છે. શુક્રવારે FII એ ભારતીય બજારમાં 21,106 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.




