રાજકોટ મનપાનો વહીવટી ખર્ચ ઘટાડવા-આર્થિક શિસ્ત લાવવા મેયરનો મોટો નિર્ણય



રાજકોટ મનપાનો વહીવટી ખર્ચ ઘટાડવા-આર્થિક શિસ્ત લાવવા મેયરનો મોટો નિર્ણય



Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહીવટી ખર્ચ ઘટાડવા અને આર્થિક શિસ્ત લાવવા માટે ડિઝલની ખરીદી અંગે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લના જણાવ્યા અનુસાર, મનપાના કન્ઝ્યુમર પંપ પર સબસિડી બંધ થવાને કારણે કોર્પોરેશનને ખૂબ જ ઊંચા ભાવે ડિઝલ ખરીદવાની ફરજ પડી રહી હતી, જેમાં કેટલાક કિસ્સાઓમાં તો ડિઝલનો ભાવ પ્રતિ લીટર 140થી 150 સુધી પહોંચી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું.
આ ચોંકાવનારી વિગતોની જાણ થતાં અને તિજોરી પર પડતા વધારાના આર્થિક બોજને ધ્યાનમાં રાખીને મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક અસરથી એક ઠરાવ પસાર કરીને જૂની પદ્ધતિ બંધ કરી નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકાના આ કડક અને ત્વરિત નિર્ણયને કારણે કોર્પોરેશનને રોજના અંદાજે ₹1 લાખથી ₹1.5 લાખ સુધીના બિનજરૂરી ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં મદદ મળશે.
ઇરાન અને અન્ય દેશો વચ્ચે સર્જાયેલી યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં આર્થિક કરકસર જાળવવાની ખાસ અપીલ કરી છે. આ અપીલના અનુસંધાને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ રાજ્ય સ્તરે કરકસરના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મનપા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, શહેરમાં હજુ સુધી શરૂ ન થયા હોય અથવા તો માત્ર 20% સુધી જ પૂર્ણ થયા હોય તેવા તમામ પ્રોજેક્ટ્સનું સઘન રિવ્યૂ કરવામાં આવશે. જોકે, તંત્રએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે લોકહિતના કોઈપણ ચાલુ પ્રોજેક્ટને બંધ કરવામાં નહીં આવે, પરંતુ જે કામો પ્રાથમિક તબક્કામાં છે તેને ચાલુ નાણાકીય વર્ષના બદલે આગામી નાણાકીય વર્ષમાં ખસેડવામાં આવશે જેથી વર્તમાન વૈશ્વિક કટોકટીના સમયે બિનજરૂરી આર્થિક બોજથી બચી શકાય.




