મુંબઈમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન, કેન્દ્રીય રમતગમતમંત્રી મનસુખ માંડવિયા જોડાયા



મુંબઈમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન, કેન્દ્રીય રમતગમતમંત્રી મનસુખ માંડવિયા જોડાયા



Mumbai Fit India Cyclothon: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન દ્વારા ફિટ, સ્વસ્થ અને સક્રિય ભારતના સપનાને સાકાર કરવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મુંબઈના વર્લી કોસ્ટલ સાયકલ ટ્રેક પર ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન – સાયક્લિંગ બાય ધ સી’નું નેતૃત્વ કર્યું હતું.
માંડવિયાએ સાયક્લોથોનને લીલી ઝંડી બતાવી અને સાયકલ રેલીમાં ભાગ લેનારાઓ સાથે જોડાઈને ફિટનેસને જનઆંદોલન બનાવવા તથા સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ફિટનેસને વિકસિત ભારતનો આધારસ્તંભ ગણાવ્યો છે. ફિટ ઇન્ડિયા અભિયાન દેશભરના લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને ફિટનેસને રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરિત કરી રહ્યું છે.’
સાયકલિંગના મહત્વ પર ભાર મૂકતા માંડવિયાએ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિઓને કારણે ઇંધણ પુરવઠા અંગેની ચિંતાઓ વચ્ચે સાયકલિંગને પરિવહનના વિકલ્પ તરીકે વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, સાયકલિંગ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
માંડવિયાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં લાખો લોકોએ ફિટ ઇન્ડિયા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેના કારણે દેશભરમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો માહોલ સર્જાયો છે. ફિટ નાગરિક સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપે છે અને સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ અને ખુશહાલ રાષ્ટ્રનો પાયો છે. તેથી વિકસિત ભારતના લક્ષ્ય માટે ફિટનેસ અત્યંત જરૂરી છે.
આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ, તાહા શાહ બાદુશા, ઐશ્વર્યા રાજ ભાકુની તેમજ ઓલિમ્પિયન કુસ્તીબાજ અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નરસિંહ યાદવ સહિત અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. ફિટ ઇન્ડિયા સાયક્લોથોન, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને નિયમિત શારીરિક કસરતના મહત્વ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના સતત પ્રયાસોનો એક ભાગ છે. સરકારનો હેતુ આવી પહેલો દ્વારા 2047 સુધી વિકસિત ભારતના સપનાને વધુ ગતિ આપવાનો છે.




