કેદારનાથ યાત્રા સ્થગિત, રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાને કારણે તંત્રનો નિર્ણય



કેદારનાથ યાત્રા સ્થગિત, રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાને કારણે તંત્રનો નિર્ણય



Kedarnath Yatra Stopped: હવામાન વિભાગે રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ, વાવાઝોડા અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની આગાહી કરી છે. હવામાનને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહીવટીતંત્રે સાવચેતીના પગલાં તરીકે કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
જિલ્લા વહીવટીતંત્રે યાત્રાળુઓની સલામતી માટે નજીકના હોલ્ડિંગ પોઈન્ટ અને સલામત સ્થળોએ રોકાવા સૂચનાઓ જાહેર કરી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, ખરાબ હવામાન અને ઓરેન્જ એલર્ટને કારણે હાલ પૂરતી યાત્રા અટકાવી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પોલીસ, NDRF, SDRF, DDRF અને અન્ય રાહત એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન સામાન્ય થતાં જ યાત્રા ફરી શરૂ થશે. આ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રા હવામાન અને મુસાફરીના માર્ગો પર સતત નજર રાખી રહ્યા છે.
સોનપ્રયાગ અને ગૌરીકુંડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત અધિકારીઓને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ યાત્રાળુઓને આગળ વધવા ન દેવાની સૂચના આપવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી મુસાફરીના માર્ગો પર સતત નજર રાખવામાં આવી રહી છે.




