જકાર્તામાં ભીષણ આગ, 300થી વધુ બિલ્ડિંગો બળીને ખાક; સેંકડો પરિવાર બેઘર



જકાર્તામાં ભીષણ આગ, 300થી વધુ બિલ્ડિંગો બળીને ખાક; સેંકડો પરિવાર બેઘર



Jakarta Fire: ઇન્ડોનેશિયાની રાજધાની અને સૌથી મોટા શહેર જકાર્તાના મધ્ય વિસ્તાર કેમાયોરનમાં આવેલા જ્યુંગ માર્કેટમાં સોમવારે રાત્રે લાગેલી ભીષણ આગને કારણે સેંકડો પરિવારોના જીવન પર અસર પડી છે. આગ એટલી ભયંકર હતી કે, ફાયર વિભાગને તેને સંપૂર્ણપણે બુઝાવવામાં સાત કલાકથી વધુ સમય લાગ્યો હતો.
ડેપ્યુટી ગવર્નર રાનો કર્નોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક મૂલ્યાંકનમાં લગભગ 304 ઇમારતો આગમાં લપેટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 354 પરિવારોના કુલ 679 લોકો પ્રભાવિત થયા છે. અસરગ્રસ્ત લોકોમાં 326 પુરુષો અને 353 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 35 વૃદ્ધ લોકો, 90 નાના બાળકો, 53 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, 6 જુનિયર હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ અને 22 વ્યાવસાયિક શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. આ દુર્ઘટનામાં ઘણી સગર્ભા સ્ત્રીઓ પણ પ્રભાવિત થઈ છે.
આગને કાબુમાં લેવા માટે 35 ફાયર એન્જિન અને 175 ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ એટલી તીવ્ર હતી કે, આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો અને ઘણી ઇમારતો થોડી જ વારમાં રાખ થઈ ગઈ હતી. 60 વર્ષીય સ્થાનિક ફેરિયા હાપિલે કહ્યું કે, જ્યારે આગ લાગી ત્યારે તે કામમાં વ્યસ્ત હતો. તેમણે કહ્યુ હતુ કે, ‘મારા દીકરાએ મને કહ્યું કે ભાડાના ઘરમાં આગ લાગી છે. મને કંઈ બચાવવાની તક મળી નથી. હું હજુ પણ ગઈકાલે રાત્રે પહેરેલા કપડાં પહેરી રહ્યો છું’. હાપિલ છેલ્લા 30 વર્ષથી તે જ વિસ્તારમાં રહેતો અને કામ કરતો હતો.
40 વર્ષીય રહેવાસી ઇસ્તીએ જણાવ્યું હતું કે, તેમને આગ લાગવાનું કારણ ખબર નહોતી, પરંતુ જ્યારે આખા વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાવા લાગ્યો ત્યારે તેમને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. સ્થાનિક વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારોને જાહેર આવાસ એપાર્ટમેન્ટમાં સ્થળાંતર કરવાની ઓફર કરી હતી, પરંતુ મોટાભાગના રહેવાસીઓએ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ વર્ષોથી સમુદાયમાં રહેતા હતા અને તેમનો વસાહત છોડવા માગતા ન હતા. ડેપ્યુટી ગવર્નર રાનો કર્નોએ જણાવ્યું હતું કે, જકાર્તામાં લગભગ 95 ટકા આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. જો કે, આ આગનું વાસ્તવિક કારણ હજુ પણ તપાસ હેઠળ છે.




