ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામના નિર્ણયને આવકાર્યો



ફાઈલ ફોટો
ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામના નિર્ણયને આવકાર્યો



ફાઈલ ફોટો
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ)ના નિર્ણયને ભારતે હૃદયપૂર્વક આવકાર્યો છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આશા વ્યક્ત કરી હતી કે, આ પગલાથી મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી અસ્થિરતાનો અંત આવશે અને શાંતિ સ્થપાશે.
એસ. જયશંકરે ભારતના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ભારત હંમેશા સંઘર્ષના સ્થાને શાંતિનો પક્ષધર રહ્યું છે. ભારત સતત બંને પક્ષોને યુદ્ધ વિરામ કરવા અને હિંસા છોડવા માટે અનુરોધ કરતું રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈપણ ગંભીર તણાવ કે સમસ્યાનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. બળપ્રયોગ કે યુદ્ધ ક્યારેય કાયમી ઉકેલ લાવી શકતા નથી.
વિદેશ પ્રધાને યુદ્ધની ભયાનક અસરો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ સંઘર્ષને કારણે નિર્દોષ લોકોએ પારાવાર દુઃખ સહન કર્યું છે. આ માત્ર પ્રાદેશિક સંકટ નથી, પરંતુ તેનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠો અને આંતરરાષ્ટ્રીય વેપાર નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે. ભારત માટે આ બાબત ચિંતાજનક હતી કારણ કે વૈશ્વિક અર્થતંત્ર પર તેની વિપરીત અસર પડી રહી હતી.
તેમણે વિશેષમાં આશા વ્યક્ત કરી હતી કે, આ સીઝફાયર બાદ હવે 'હોર્મુઝ ખાડી' જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો દ્વારા થતો વૈશ્વિક વેપાર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. ભારત માને છે કે આ શાંતિ કરારથી તેલના ભાવ અને પુરવઠામાં સ્થિરતા આવશે, જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે. આ સીઝફાયર વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એક મહત્વનું અને હકારાત્મક કદમ સાબિત થશે.




