NEET-UG પરીક્ષા રદ થતાં વિદ્યાર્થી સંગઠનોમાં રોષ



AI Image
NEET-UG પરીક્ષા રદ થતાં વિદ્યાર્થી સંગઠનોમાં રોષ



AI Image
નવી દિલ્હી : દેશભરમાં 3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 પરીક્ષા રદ થતાં હવે વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેપર લીક અને પરીક્ષાની વિશ્વસનીયતા પર ઉઠેલા સવાલો વચ્ચે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે લાખો વિદ્યાર્થીઓ આખું વર્ષ દિવસ-રાત મહેનત કરીને NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી કરતા હોય છે. ત્યારે પેપર લીક જેવી ઘટના વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે માનસિક તેમજ આર્થિક આઘાત સમાન છે.
નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)એ દાવો કર્યો છે કે તેમના સતત વિરોધ અને દબાણ બાદ સરકારને આખરે NEET પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. જોકે NSUIનું કહેવું છે કે માત્ર પરીક્ષા રદ કરવાથી ન્યાય પૂર્ણ થતો નથી. જ્યાં સુધી પેપર લીક કરનાર નેટવર્ક, તેમાં સંડોવાયેલા લોકો અને NTAની જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે.
NSUIએ NTA જેવી સંસ્થાને બંધ કરવાની તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવાની માંગ પણ કરી છે. સંગઠનના પ્રમુખ વિનોદ જાખડના જણાવ્યા પ્રમાણે પરીક્ષા રદ થવી એ જ સાબિત કરે છે કે ગડબડી ખૂબ મોટા સ્તરે થઈ હતી.
બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ પણ NEET-UG પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓ અને પેપર લીક મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ABVPનું કહેવું છે કે દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં હવે પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થી સંગઠનોનું માનવું છે કે પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર લીક થવું માત્ર સિસ્ટમ પર આઘાત નથી, પરંતુ વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ અન્યાય સમાન છે. સંગઠનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની માંગ કરી છે.
વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરાવી પેપર લીક માફિયા અને તેમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી NTAએ પારદર્શિતા જાળવી વિદ્યાર્થીઓ અને વાલીઓને સાચી માહિતી આપવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.
વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ટેક્નિકલ સુરક્ષા, પ્રશ્નપત્રની ગોપનીયતા અને પરીક્ષા કેન્દ્રોની મોનિટરિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જરૂરી છે.




