વૃંદાવનમાં ભયાનક નૌકા દુર્ઘટમાં 10ના મોત, અનેક હજુ ગુમ



વૃંદાવનમાં ભયાનક નૌકા દુર્ઘટમાં 10ના મોત, અનેક હજુ ગુમ



વૃંદાવનના કેશી ઘાટ ખાતે યમુના નદીમાં સર્જાયેલા સ્ટીમર અકસ્માત બાદ છેલ્લા 14 કલાકથી વધુ સમયથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 શ્રદ્ધાળુઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ 6 લોકો ગુમ હોવાનું જાણવા મળે છે. તેમને શોધવા માટે રાહત-બચાવ દળો સતત પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત પાછળ નાવિકની બેદરકારી જવાબદાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પંજાબના લુધિયાણા શહેરથી આવેલા 32 શ્રદ્ધાળુઓ બાંકે બિહારીના દર્શન કર્યા બાદ નદીમાં વિહાર કરવા નીકળ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓએ નાવિકને પાછા વળવા વિનંતી કરી હતી, છતાં તેણે વાત માન્ય રાખી નહોતી. કેશી ઘાટ પાસે પહોંચતા જ સ્ટીમર તાત્કાલિક બનાવાયેલા પુલ સાથે અથડાઈ જતા સંતુલન ગુમાવી નદીમાં પલટી ગયું હતું.
મળતી માહિતી મુજબ બોટમાં કુલ 37 મુસાફરો સવાર હતા, જેમાંથી 22 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોમાં માણિક ટંડન, પંકજ મલ્હોત્રા, ઋષભ શર્મા, યશ ભલ્લા અને મોનિકા સહિતના લોકોનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ અને તરણારા નિષ્ણાતોની મદદથી નદીના ઊંડા પાણીમાં શોધખોળ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આવનારા 24 કલાક ગુમ થયેલા લોકોની શોધ માટે મહત્વપૂર્ણ છે.
આ દુર્ઘટનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા શોક વ્યક્ત કરી પીડિતોને આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતકોના પાર્થિવ દેહને જરૂરી કાર્યવાહી બાદ તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આસપાસની હોસ્પિટલો અને ધર્મશાળાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શ્રદ્ધાળુ બચીને અન્યત્ર પહોંચ્યા હોય.




