કામાખ્યા મંદિરમાં આજથી શરૂ થશે અંબુવાચી મેળો, 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની આશા



કામાખ્યા મંદિરમાં આજથી શરૂ થશે અંબુવાચી મેળો, 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની આશા



પૂર્વ ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સવોમાંનો એક અંબુવાચી મેળો આજે પ્રખ્યાત કામાખ્યા મંદિર ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, તાંત્રિક સાધકો અને પ્રવાસીઓ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અંબુવાચી મેળો દેવી કામાખ્યાના વાર્ષિક રજસ્વલા ચક્રના પ્રતિકરૂપે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ નારી શક્તિ, સર્જનશક્તિ અને પ્રજનન ક્ષમતાના સન્માનનું પ્રતિક માનવામાં આવે છે. શક્તિ ઉપાસના અને તાંત્રિક પરંપરામાં આ મેળાને વિશેષ મહત્વ પ્રાપ્ત છે.
મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, આજે રાત્રે 9:08:42 કલાકે 'પ્રવૃત્તિ' વિધિ સાથે ધાર્મિક અનુષ્ઠાનની શરૂઆત થશે. આ વિધિ બાદ મંદિરના દ્વાર આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે અને આ દરમિયાન ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. દેવીના એકાંતવાસના પ્રતિકરૂપે મંદિરની અંદરના તમામ નિયમિત ધાર્મિક કાર્યક્રમો પણ સ્થગિત રાખવામાં આવશે.
મંદિર 26 જૂનની સવારે ‘નિવૃત્તિ’ વિધિ અને પરંપરાગત નિત્યપૂજા પૂર્ણ થયા બાદ ફરીથી ભક્તો માટે ખુલશે. ત્યારબાદ હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર 'અંગોદક' અને 'અંગવસ્ત્ર' પ્રાપ્ત કરવા માટે ઉમટશે. આ બંને પ્રસાદને અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે.
નીલાચલ પહાડીઓ પર આવેલું કામાખ્યા મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે અને હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાં તેની ગણના થાય છે. મેળાને ધ્યાનમાં રાખીને આસામ સરકાર અને મંદિર સંચાલન દ્વારા સુરક્ષા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, રહેઠાણ અને ભોજન સહિતની વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
દર વર્ષે અંબુવાચી મેળા દરમિયાન ગુવાહાટી શહેર આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની જાય છે. આ વર્ષે પણ લાખો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાવાની અપેક્ષા છે.




