અતિશય આદુવાળી ચા પીવાની આદત બની શકે નુકસાનકારક, જાણો કોને રાખવી ખાસ સાવચેતી



અતિશય આદુવાળી ચા પીવાની આદત બની શકે નુકસાનકારક, જાણો કોને રાખવી ખાસ સાવચેતી



ઘણા લોકો માટે દિવસની શરૂઆત આદુવાળી ગરમાગરમ ચા વગર અધૂરી લાગે છે. કેટલાક લોકો તો તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માની દિવસમાં અનેક વખત આદુવાળી ચા પીતા હોય છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોઈપણ વસ્તુનું અતિરેક નુકસાનકારક બની શકે છે અને આ વાત આદુ પર પણ લાગુ પડે છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એક દિવસમાં લગભગ 4 ગ્રામથી વધુ આદુનું સેવન કરવું યોગ્ય માનવામાં આવતું નથી. માત્ર ચા દ્વારા આટલી માત્રા સુધી પહોંચવું મુશ્કેલ હોય છે, પરંતુ જો દિવસભર આદુવાળી ચા, કઢો અને આદુ ધરાવતી અન્ય વસ્તુઓનું સતત સેવન કરવામાં આવે તો કુલ માત્રા વધી શકે છે.
વધારે આદુનું સેવન કરવાથી કેટલાક લોકોને એસિડિટી, છાતીમાં બળતરા અથવા પેટમાં અસ્વસ્થતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત લોકો તેને આદુની એલર્જી સમજી લે છે, પરંતુ કેટલીક સ્થિતિમાં તે માત્ર મસાલેદાર વસ્તુઓના કારણે થતી સામાન્ય પ્રતિક્રિયા પણ હોઈ શકે છે. જો કે, ચા પીધા પછી શરીર પર ચકામા, ખંજવાળ અથવા પેટમાં ગંભીર તકલીફ અનુભવાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ખાસ કરીને જેમને ગોલબ્લેડર સંબંધિત સમસ્યા હોય, લો બ્લડ પ્રેશર હોય અથવા બ્લડ પ્રેશરની દવા ચાલતી હોય તેમણે આદુનું નિયમિત અને વધુ પ્રમાણમાં સેવન કરતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત, બ્લડ થિનર દવાઓ લેતા લોકો અથવા બ્લીડિંગ ડિસઓર્ડર ધરાવતા દર્દીઓએ પણ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે આદુ લોહીને થોડું પાતળું કરવાની અસર કરી શકે છે.
જો કે, યોગ્ય માત્રામાં લેવામાં આવે તો આદુના અનેક આરોગ્યલાભ પણ છે. સંશોધનો દર્શાવે છે કે આદુ ઉબકા, ઊલટી, અપચો અને પેટની તકલીફમાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે. સર્જરી અથવા કીમોથેરાપી પછી થતી ઉબકાની સમસ્યામાં પણ કેટલાક લોકોને તેનો લાભ મળે છે. ઉપરાંત, આદુમાં રહેલું 'જિન્જરોલ' નામનું તત્વ શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે.
તેથી આદુવાળી ચા સંપૂર્ણપણે ટાળવાની જરૂર નથી, પરંતુ તેનું સંતુલિત પ્રમાણમાં સેવન કરવું અને કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા હોય તો તબીબી સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.




