ઈરાન માટે ભારતની નવી ટ્રાવેલ એડવાઇઝરી: બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવાની સલાહ



ઈરાન માટે ભારતની નવી ટ્રાવેલ એડવાઇઝરી: બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવાની સલાહ



પશ્ચિમ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હોવા છતાં ભારત સરકારે પોતાના નાગરિકોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બુધવારે જાહેર કરાયેલી નવી એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સતર્ક રહેવા અને ઈરાન જતાં પહેલાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની અપીલ કરવામાં આવી છે.
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે ઈરાનની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. દૂતાવાસના જણાવ્યા મુજબ તાજેતરના દિવસોમાં કેટલાક સકારાત્મક સંકેતો મળ્યા છે અને કુલ મળીને પરિસ્થિતિમાં સુધારો નોંધાયો છે. તેમ છતાં, પ્રદેશમાં યથાવત રહેલા તણાવને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ છતાં પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ જળમાર્ગ જેવા મુદ્દાઓ પર મતભેદો હજુ પણ યથાવત છે. બંને દેશો વચ્ચે અંતિમ સમજૂતી ન થતા ભવિષ્યમાં ફરી તણાવ વધવાની શક્યતાઓને નકારી શકાય નહીં. આ જ કારણસર ભારતે અગાઉની સલાહમાં ફેરફાર કરીને નવી એડવાઇઝરી જાહેર કરી છે.
દૂતાવાસે ઈરાનમાં હાલ રહેતા ભારતીયો તેમજ આવશ્યક કામસર ત્યાં જવા ઇચ્છતા લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું છે. સાથે જ વિશ્વસનીય સ્ત્રોતોથી સ્થાનિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવવાની અને સ્થાનિક સત્તાવાળાઓના તમામ નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેલા અને ત્યાં પ્રવાસની યોજના બનાવી રહેલા તમામ ભારતીય નાગરિકોને પોતાની વિગતો દૂતાવાસમાં નોંધાવવા પણ અનુરોધ કર્યો છે. ઉપરાંત, દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમિત અપડેટ્સ ચકાસવાની પણ સલાહ આપવામાં આવી છે. જરૂરિયાતના સમયે મદદ માટે દૂતાવાસે ઇમરજન્સી સંપર્ક નંબર પણ જાહેર કર્યા છે.




