ટાટા ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક આજે, ટાટા સન્સ IPOથી લઈને ચેરમેનના કાર્યકાળ સુધીના મોટા મુદ્દાઓ પર નજર



ટાટા ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક આજે, ટાટા સન્સ IPOથી લઈને ચેરમેનના કાર્યકાળ સુધીના મોટા મુદ્દાઓ પર નજર



Tata Trust meeting: ટાટા ગ્રુપ માટે આજે મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને ટાટા એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં ટાટા ગ્રુપના ભવિષ્ય સાથે જોડાયેલા અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. રતન ટાટાના નિધન બાદ અને તાજેતરના કાનૂની વિવાદોની વચ્ચે યોજાતી આ બેઠક પર કોર્પોરેટ જગતની ખાસ નજર છે.
બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો ટાટા સન્સના સંભવિત IPOનો હોઈ શકે છે. RBIના નિયમો મુજબ ટાટા સન્સને 'અપર લેયર NBFC' તરીકે શેરબજારમાં લિસ્ટ થવું જરૂરી છે. જો IPOને લીલી ઝંડી મળે તો તે દેશના કોર્પોરેટ ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી વધુ રાહ જોવાતો IPO બની શકે છે.
આ ઉપરાંત ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને 2032 સુધી લંબાવવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ શકે છે. જોકે ટાટા ટ્રસ્ટના વડા નોએલ ટાટા અગાઉ કહી ચૂક્યા છે કે નુકસાનમાં ચાલતા વ્યવસાયોના પુનરુત્થાન અને લિસ્ટિંગ જેવા મુદ્દાઓનું સમાધાન થયા બાદ જ આ વિષય પર નિર્ણય લેવો જોઈએ.
બેઠકમાં નુકસાનમાં ચાલતા ત્રણ મોટા વ્યવસાયો – એર ઈન્ડિયા, ટાટા ઇલેક્ટ્રોનિક અને Tata Neuના ભવિષ્ય અંગે પણ ચર્ચા થવાની છે. આ કંપનીઓના CEO આગામી વર્ષોની વ્યૂહરચના અને રોકાણની જરૂરિયાતો અંગે ટ્રસ્ટીઓને રજૂઆત કરી શકે છે.
તાજેતરમાં 1989માં ટાટા સન્સના 833 શેરોના ટ્રાન્સફર સંબંધિત કાનૂની વિવાદ પણ ચર્ચામાં છે. જોકે ટાટા ટ્રસ્ટે આ તમામ આરોપોને નિરાધાર ગણાવ્યા છે.
આ બેઠક બાદ 12 જૂને ટાટા સન્સની વધુ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં IPO અને ચેરમેનની પુનર્નિયુક્તિ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.




