ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત; વૈભવ-રિંકુને તક, સેમસન બહાર



ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત; વૈભવ-રિંકુને તક, સેમસન બહાર



Indian Cricket Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઝિમ્બાબ્વે સામેની ત્રણ ટી20 મેચોની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ફરી એકવાર 15 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવી છે. તિલક વર્મા ટીમના ઉપ-કપ્તાન રહેશે.
વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ સામેની બે મેચોની ટી20 શ્રેણીનો ભાગ હતા, પરંતુ ત્યાં તેમને રમવાની તક મળી નહોતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી20 મેચમાં પણ તેઓ પ્લેઇંગ ઈલેવનમાં સામેલ નહોતા. અંતે બીજી મેચમાં તેમને તક મળી, જેના કારણે તેઓ 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરનારા સૌથી નાની ઉંમરના ભારતીય ક્રિકેટર બન્યા હતા. જો કે, તેમના ડેબ્યૂ મેચમાં તેઓ માત્ર 14 રન જ બનાવી શક્યા હતા.
ફિનિશર રિંકુ સિંહની ટી20 ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત પ્રિન્સ યાદવ, યશ ઠાકુર અને અશોક શર્માને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. અશોક શર્માએ IPL 2026માં પોતાની ઝડપી બોલિંગથી ધ્યાન ખેંચ્યું હતું.
સ્પિન વિભાગમાં હર્ષ દુબે અને વરૂણ ચક્રવર્તીને પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટકીપર તરીકે ઈશાન કિશન અને પ્રભસિમરન સિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સંજુ સેમસન આ શ્રેણીમાંથી બહાર છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટી20 શ્રેણીની ત્રણેય મેચો 23, 25 અને 26 જુલાઈએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
ઝિમ્બાબ્વે સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ: શ્રેયસ અય્યર (કપ્તાન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (ઉપ-કપ્તાન), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરૂણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટેની ભારતીય ટીમમાં નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ શિવમ દુબેને સામેલ કર્યા છે.
અપડેટેડ વનડે ટીમ: શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપ-કપ્તાન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર, શિવમ દુબે.




