ખતરનાક હડકાયેલા કૂતરાંઓને ‘મોતનું ઇન્જેક્શન’ આપવાનો આદેશ, સુપ્રીમનો મોટો ચુકાદો



ખતરનાક હડકાયેલા કૂતરાંઓને ‘મોતનું ઇન્જેક્શન’ આપવાનો આદેશ, સુપ્રીમનો મોટો ચુકાદો



Supreme Court: દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાની વધતી સંખ્યા અને તેના કારણે ઉદ્ભવતા ભય અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે માનવજીવનની સલામતીને સર્વોપરી ગણાવીને હડકવાથી સંક્રમિત અસાધ્ય રોગોથી પીડાતા અથવા અત્યંત ખતરનાક ગણાતા રખડતા કૂતરાઓના મોતને મંજૂરી આપી છે.
ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે માનવ જીવનનું રક્ષણ પહેલી પ્રાથમિકતા છે અને જાહેર સલામતી માટે આ પગલું જરૂરી બની ગયું છે. કોર્ટે કહ્યું કે, જે વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં વારંવાર હુમલા લોકોના જીવન માટે ખતરો બની રહ્યા છે, ત્યાં સ્થાનિક સંસ્થાઓ તેમને 'મારવાનો' નિર્ણય લઈ શકે છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ગૌરવ સાથે જીવવાના અધિકારમાં કૂતરાના હુમલાના ભયથી મુક્ત જીવવાનો અધિકાર પણ શામેલ છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કૂતરાઓને ઈચ્છામૃત્યુ આપવાનો નિર્ણય અને અન્ય કાનૂની પગલાં પશુચિકિત્સા નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કર્યા પછી જ લેવામાં આવે છે. વધુમાં આ પ્રક્રિયા દરમિયાન પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 અને પ્રાણી જન્મ નિયંત્રણ નિયમો, 2023નું કડક પાલન કરવું આવશ્યક છે.
બાળકો અને વૃદ્ધો પર વધતા જતા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે જમીની વાસ્તવિકતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યાં નિર્દોષ બાળકો, વૃદ્ધો અને વિદેશી પ્રવાસીઓ આ હુમલાઓનો ભોગ બની રહ્યા છે. બેન્ચે કહ્યું કે, તે આ ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરી શકે નહીં. ગયા વર્ષના ડેટાને ટાંકીને કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએ કૂતરા કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો પર ગંભીર નોંધ લીધી.
નસબંધી અને આશ્રયસ્થાનોના નિર્દેશો
લાંબા ગાળાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશ અનુસાર, સામાન્ય રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી નિયુક્ત આશ્રયસ્થાનોમાં મોકલવા જોઈએ. વધુમાં, કોર્ટે રખડતા કૂતરાઓના સ્થળાંતર અંગેના અગાઉના આદેશોને રદ કરવાની માગ કરતી તમામ અરજીઓ ફગાવી દીધી.




