‘તારીખ પે તારીખથી છૂટકારો...’ હવેથી 3 મહિનામાં હાઇકોર્ટે રિઝર્વ ચુકાદો આપવો પડશે



‘તારીખ પે તારીખથી છૂટકારો...’ હવેથી 3 મહિનામાં હાઇકોર્ટે રિઝર્વ ચુકાદો આપવો પડશે



Supreme Court: સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસોના બેકલોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સિસ્ટમને સુધારવા માટે કડક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે જો કોઈ કેસમાં નિર્ણય અનામત રાખવામાં આવે છે, તો તે ત્રણ મહિનાની અંદર આપવો આવશ્યક છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટના નવા આદેશ મુજબ, કોઈપણ કેસમાં સુનાવણીની તારીખથી ત્રણ મહિનામાં ચુકાદો આપવો આવશ્યક છે. જામીનના કેસોમાં કોર્ટે જણાવ્યું છે કે, આદર્શ રીતે આદેશ બીજા જ દિવસે જાહેર કરવો જોઈએ અને તે જ દિવસે જેલ વહીવટીતંત્રને મોકલવો જોઈએ.
જામીન મળ્યા પછી કેદીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે
આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે અંડરટ્રાયલ કેદીઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે, તેમને તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે જેલમાંથી મુક્ત કરવા જોઈએ. નવા નિયમો અનુસાર, કોર્ટ પહેલાં ચુકાદાનો મુખ્ય અને અસરકારક ભાગ (ઓપરેટિવ ભાગ) ખુલ્લી અદાલતમાં વાંચશે, જ્યારે તેની પાછળના વિગતવાર કાનૂની કારણો સાત દિવસમાં કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત ચુકાદો અનામત રાખવામાં આવ્યો તે તારીખની માહિતી પણ સંબંધિત હાઇકોર્ટની વેબસાઇટ પર પ્રદર્શિત કરવાની રહેશે.
જો બેદરકારી દાખવવામાં આવશે, તો મામલો બીજી બેન્ચને સોંપવામાં આવશે
સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, જો નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો કેસ બીજી બેન્ચમાં ટ્રાન્સફર થઈ શકે છે. વધુમાં, જો 30 દિવસની અંદર નિર્ણયના મુખ્ય કારણો વેબસાઇટ પર અપલોડ કરવામાં નહીં આવે, તો કેસ પાછો ખેંચી શકાય છે અને નવી બેન્ચ સમક્ષ પુનઃસુનાવણી માટે મોકલવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આ નિયમો તેમના સંબંધિત મુખ્ય ન્યાયાધીશો સમક્ષ રજૂ કરે જેથી સમગ્ર દેશમાં કડક પાલન થાય.




