રાજકોટમાં જર્જરિત ક્વાર્ટરો મુદ્દે રહિશોને મોટી રાહત, મેયરે દિવાળી સુધી કાર્યવાહી મોકૂફ રાખી



રાજકોટમાં જર્જરિત ક્વાર્ટરો મુદ્દે રહિશોને મોટી રાહત, મેયરે દિવાળી સુધી કાર્યવાહી મોકૂફ રાખી



રાજકોટ: રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગ બોર્ડના જર્જરિત ક્વાર્ટરોને ખાલી કરવા અને નળ-વીજ કનેક્શન કાપવા અંગે આપવામાં આવેલી નોટિસને લઈને રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. RMC દ્વારા નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
આ દરમિયાન એક વૃદ્ધે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. નળ કનેક્શન કાપવા માટે ખોદવામાં આવેલા ખાડામાં સૂઈ જઈ તેમણે મનપાની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વૃદ્ધના આ વિરોધના દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં રહિશો રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. સ્થાનિકોએ મેયર નેહલ શુક્લ સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરીને તાત્કાલિક રાહતની માંગ કરી હતી.
રજૂઆત બાદ મેયર નેહલ શુક્લે રહિશોને મહત્વપૂર્ણ રાહત આપતાં દિવાળી સુધી કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત, જે નળ કનેક્શન બંધ કરવામાં આવ્યા હશે તે ફરી કાર્યરત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
મેયરે જણાવ્યું હતું કે ક્વાર્ટરોમાં રહેતા લોકોએ એફિડેવિટ આપવાનું રહેશે. જો તેઓ જર્જરિત મકાનોમાં રિનોવેશન અથવા મરામત બાદ રહેવાનું પસંદ કરે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી તેમની પોતાની રહેશે.
મેયરની જાહેરાત બાદ સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, જર્જરિત મકાનોની સુરક્ષાને લઈને ચિંતા હજુ પણ યથાવત છે




