રોહિત શર્મા, અલકા યાજ્ઞિક સહિત મહાનુભાવોનું પદ્મ પુરસ્કારથી સન્માન, રાષ્ટ્રપતિએ એનાયત કર્યા



રોહિત શર્મા, અલકા યાજ્ઞિક સહિત મહાનુભાવોનું પદ્મ પુરસ્કારથી સન્માન, રાષ્ટ્રપતિએ એનાયત કર્યા



Civil Investiture Ceremony-2: બીજા નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 65 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જેમાં બે પદ્મ વિભૂષણ, સાત પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. અગાઉ 25 મેના રોજ પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં બે પદ્મ વિભૂષણ, છ પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડીપ ટેક ફોર ભારત ફાઉન્ડેશનના સહ-સ્થાપક અને પ્રસાર ભારતીના ભૂતપૂર્વ સીઈઓ શશી શેખર વેમ્પતીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તેઓ હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય ફિલ્મ અભિનેતા આર. માધવનને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રીથી નવાજ્યા હતા.
JMMના વડા અને આદિવાસી નેતા શિબુ સોરેનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં મરણોત્તર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમના પત્ની રૂપી સોરેને સ્વીકાર્યો હતો. આ ઉપરાંત પ્રખ્યાત પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિક, મલયાલમ સિનેમાના દિગ્ગજ મામૂટી, ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ હાજર છે. આ પુરસ્કારો કલા, સમાજ સેવા, જાહેર કાર્યો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે.




