દક્ષિણની દિગ્ગજ ગાયિકા એસ. જાનકીના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક



દક્ષિણની દિગ્ગજ ગાયિકા એસ. જાનકીના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક



પ્રખ્યાત દિગ્ગજ ગાયિકા એસ. જાનકી અંમ્માના નિધનથી સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી વ્યાપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં તેને સંગીત અને સંસ્કૃતિની દુનિયા માટે "અપૂરણીય ક્ષતિ" ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે એસ. જાનકીનો મધુર અવાજ અનેક પેઢીઓ સુધી લોકોના દિલમાં જીવંત રહેશે અને વિવિધ ભાષાઓમાં ગાયેલા તેમના ગીતો હંમેશા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા રહેશે. તેમણે શોકગ્રસ્ત પરિવાર, ચાહકો અને સમગ્ર સંગીત જગત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
'દક્ષિણની કોયલ' તરીકે જાણીતી એસ. જાનકીનું શનિવારે કર્ણાટકના મૈસૂર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં 88 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનની માહિતી તેમની પૌત્રી અપ્સરા વૈદુલાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
એસ. જાનકીએ પોતાના લાંબા સંગીતકારકિર્દીમાં કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી સહિત 20થી વધુ ભાષાઓમાં 48 હજારથી વધુ ગીતો ગાયા હતા. આ સિદ્ધિને કારણે તેઓ ભારતીય ફિલ્મ સંગીતના ઇતિહાસની સૌથી વધુ ગીતો ગાનારી પાર्श્વ ગાયિકાઓમાં સ્થાન પામ્યા હતા. તેમણે સૌથી વધુ કન્નડ અને ત્યારબાદ મલયાલમ ભાષામાં ગીતો ગાયા હતા.
તેમણે 1957માં તમિલ ફિલ્મ વિધિયિન વિલાયાટ્ટુ દ્વારા દિગ્ગજ ગાયિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને 2017 સુધીના લગભગ છ દાયકાના સફરમાં તેમણે ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 33 રાજ્ય ફિલ્મ પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. ખાસ કરીને 1970ના દાયકાથી તેઓ મલયાલમ ફિલ્મ ઉદ્યોગની અગ્રણી મહિલા અવાજ તરીકે જાણીતા બન્યા હતા. તેમના અમર ગીતો આજે પણ સંગીતપ્રેમીઓના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન ધરાવે છે.




