PM મોદી જકાર્તા પહોંચ્યા, રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ કર્યું સ્વાગત



PM મોદી જકાર્તા પહોંચ્યા, રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ કર્યું સ્વાગત



PM Modi Indonesia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય પ્રવાસે સોમવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. લેન્ડિંગ પહેલાં ઈન્ડોનેશિયાની વાયુસેનાના ફાઇટર જેટ્સે વડાપ્રધાન મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. આ સન્માન વિશેષ રાજકીય સ્વાગતનો ભાગ માનવામાં આવે છે.
આ પ્રથમ વખત નથી, જ્યારે વડાપ્રધાન મોદીના વિમાનને કોઈ દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલાં એસ્કોર્ટ કરવામાં આવ્યું હોય. અગાઉ પણ અનેક પ્રસંગોએ યજમાન દેશોની વાયુસેનાના લડાકુ વિમાનોએ તેમના વિમાનને એસ્કોર્ટ કર્યું છે. તેને વિશેષ રાજકીય સન્માન અને સ્વાગતનું પ્રતિક માનવામાં આવે છે. તાજેતરમાં મે 2026માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત દરમિયાન UAE વાયુસેનાના F-16 લડાકુ વિમાનોએ વડાપ્રધાન મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું.
આ પહેલાં સ્વીડનમાં પણ ગ્રિપેન ફાઇટર જેટ્સ દ્વારા તેમના વિમાનને એ જ રીતે એસ્કોર્ટ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી ઇન્ડો-પેસિફિક મિશન અંતર્ગત છ દિવસીય વિદેશ પ્રવાસે છે. ઈન્ડોનેશિયા બાદ તેઓ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે.
ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને દેશોના નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, સમુદ્રી સહકાર અને પ્રાદેશિક મુદ્દાઓ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થવાની સંભાવના છે.
વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, રોકાણ, સંરક્ષણ, સમુદ્રી સહકાર અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
ત્રણ દેશોની મુલાકાત માટે રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રવાસનો મુખ્ય હેતુ આ મહત્વપૂર્ણ વિકાસ ભાગીદારો સાથે આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાનો તેમજ ભવિષ્યમાં દેશના યુવાનો માટે વધુ તકો સુનિશ્ચિત કરવાનો છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રવાસ અંગે લેખ પણ શેર કર્યો હતો. ઈન્ડોનેશિયા અંગે તેમણે લખ્યું કે, "રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણે હું 6થી 8 જુલાઈ દરમિયાન ઈન્ડોનેશિયાની મુલાકાત લઈ રહ્યો છું. 2018માં મારી પ્રથમ મુલાકાત દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયાએ પોતાના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા હતા. સંબંધોમાં થયેલા આ વિકાસ પછી આ મારી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રબોવો 26 જાન્યુઆરી, 2025ના રોજ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે મજબૂત સાંસ્કૃતિક તેમજ લોકો વચ્ચેના સંબંધો છે અને આ મુલાકાત બંને દેશોની બહુમુખી ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. પ્રવાસ દરમિયાન તેઓ ઈન્ડોનેશિયામાં વસતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે તેમજ રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે યોગ્યાકાર્તામાં આવેલા પ્રમ્બાનન મંદિર સંકુલની મુલાકાત લેશે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોનું એક વધુ ભવ્ય પ્રતીક છે.




