માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ બે ભારતીય પર્વતારોહકોના મોત



માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ બે ભારતીય પર્વતારોહકોના મોત



Mount Everest: દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર આ વર્ષે બે રેકોર્ડ બન્યા હતા અને ત્યાં જ બે ભારતીય પરિવારો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. એવરેસ્ટ પર ચડીને ઊતરતી વખતે બે ભારતીય પર્વતારોહકો અરુણ કુમાર તિવારી અને સંદીપ આરેનું દર્દનાક મોત નીપજ્યું છે.
કેવી રીતે થયું બે ભારતીયોનું મોત?
અરુણ કુમારે 21મી મેના દિવસે સાંજે એવરેસ્ટ સર કરી લીધો હતો, પરંતુ ખુશીની આ ક્ષણ વધુ ટકી નહીં. શિખર પરથી ઊતરતી વખતે હિલેરી સ્ટેપ પાસે શેરપાઓએ મદદ કરી હતી તે છતાં તબિયત બગડી હતી અને તેમનું મોત નીપજ્યું હતું.
ત્યાં સંદીપે 20મી મેના દિવસે એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો હતો. શિખર પર ફોટા પડાવવા માટે તેમણે ચશ્મા કાઢી નાંખ્યા હતા, ત્યારે તેઓ ‘સ્નો બ્લાઇન્ડનેસ’ના શિકાર થઈ ગયા હતા. નીચે ઊતરતી વખતે હાઇઓલ્ટીટ્યૂડ સેરેબ્રલ એડિમા થયો હતો. રેસ્ક્યૂ ટીમ બે દિવસની જહેમત બાદ તેમને કેમ્પ-2 સુધી લાવ્યા હતા, પરંતુ તમામ પ્રયત્નો પછી પણ તેમને બચાવી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એવરેસ્ટ પર એક જ દિવસમાં 274 લોકોએ શિખર પર પહોંચવાનો નવો ઇતિહાસ બનાવ્યો હતો.
આ એવરેસ્ટ સિઝનમાં મોતથી શોકની લહેર છવાયેલી છે, ત્યાં ભારત માટે કેટલીક ઐતિહાસિક ક્ષણો સામે આવી છે. સીમા સુરક્ષા દળ અને ITBPના માત્ર મહિલાઓની ટુકડીએ પહેલીવાર એવરેસ્ટ સર કરી ઇતિહાસ બનાવ્યો હતો. ત્યાં 16 વર્ષીય નિશા સસીકુમાર નેપાળ તરફથી એવરેસ્ટ ચડનારી સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જેમાંથી ત્રણ નેપાળના પર્વતારોહકો સામેલ છટે. રેકોર્ડ બ્રેક પરમિટની જાહેરાત અને વધતી મોત પછી નેપાળના પર્વતારોહણ ઉદ્યોગ પર સવાલ ઊઠી રહ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, પર્વતારોહકોની સુરક્ષા, ભીડ અને પ્રબંધન અને ઉંચા પર્વતો પર મેડિકલ સુવિધાઓને લઈને કડક નિયમ બનાવવાનો સમય આવી ગયો છે.




