મારા રાજીનામાનો સવાલ જ નથી; અમે હાર્યા નથી, અમને હરાવ્યાઃ મમતા બેનર્જી



મારા રાજીનામાનો સવાલ જ નથી; અમે હાર્યા નથી, અમને હરાવ્યાઃ મમતા બેનર્જી



Mamata Banerjee Press Conference: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ મમતા બેનર્જીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. ભાજપે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને જીત મેળવી છે.
મમતાએ કહ્યું હતું કે, અમારી લડાઈ બીજેપી સાથે નહોતી, ચૂંટણી પંચ સાથે હતી. મેં મારી જિંદગીમાં આ રીતે ચૂંટણી નથી જોઈએ. મેં 2004થી આ પ્રકારનો અત્યાચાર નથી જોયો. ચૂંટણી પંચ મુખ્ય વિલન છે. એસઆઈઆરની મદદથી 90 લાખ વોટ હટાવવામાં આવ્યા. બીજેપીએ 100 સીટો લૂંટી લીધી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહે ભેગા મળીને અમને હરાવ્યાં છે. ભાજપે અમારા કાર્યકર્તાઓ સાથે પણ મારામારી કરી હતી.
‘મારા રાજીનામાનો સવાલ નથી’
મમતા બેનર્જીએ રાજીનામાના સવાલ પર કહ્યું કે, મારા રાજીનામાનો સવાલ જ નથી. અમે ચૂંટણી હાર્યા નથી. તેમને એવું પૂછવામાં આવ્યું કે, શું તમે રાજભવન જશો, તો તેના જવાબમાં મમતાએ કહ્યું કે, લોકભવન જઈને રાજીનામું નહીં આપું. પાર્ટીના સભ્યો સાથે આગામી સ્ટ્રેટેજીની ચર્ચા કરીશું. હું હવે ભાજપનો અત્યાચાર વધારે સહન નહીં કરું. ફરીથી રસ્તા પર ઉતરીશ.
તેમણે કહ્યું કે, ઇન્ડિયા બ્લોક મારી સાથે છે. સોનિયા ગાંધીએ મને ફોન કર્યો. રાહુલ, અરવિંદ કેજરીવાલ, ઉદ્ઘવ ઠાકરે, હેમંત સોરેન અને તેજસ્વી યાદવે મને ફોન કર્યો. તેમણે કહ્યું છે કે, ઇન્ડિયા બ્લોક મારી સાથે છે. આવતીકાલે અખિલેશ યાદવ આવી રહ્યા છે.
મમતાએ કહ્યું કે, હવે હું આઝાદ પક્ષી જેવી છું. મારે કેટલાક કામ કરવાના છે. અમે લડાઈ મૂકવાના નથી. તેમણે કહ્યું કે, ભાજપે અમારા લોકોને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું છે. તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો પર પણ હુમલો કર્યો છે. ભાજપે તેમને કહ્યું કે, અમે તમારો રેપ કરીશું. મમતાએ કહ્યું કે, બીજેપીએ તેમના ગુંડાઓ સાથે હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.
મમતાએ મીડિયા પર પણ ઠીકરું ફોડ્યું
તેમણે કહ્યું કે, પહેલા રાઉન્ડની કાઉન્ટિંગ બાદ જ મીડિયાએ કહેવાનું શરૂ કરી દીધું હતું કે, બીજેપી કેટલી સીટ પર આગળ છે. ભાજપના ગુંડાઓએ મારા પર પણ હુમલો કર્યો. મારી પીઠ અને પેટમાં લાત મારી.




