વેનેઝુએલાના ભૂકંપ પીડિતોની મદદે ભારત, 'ઓપરેશન અમિસ્તાદ' હેઠળ રાહત સામગ્રી અને મેડિકલ ટીમ રવાના



વેનેઝુએલાના ભૂકંપ પીડિતોની મદદે ભારત, 'ઓપરેશન અમિસ્તાદ' હેઠળ રાહત સામગ્રી અને મેડિકલ ટીમ રવાના



વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ભારતે માનવતાના ધોરણે ઝડપી રાહત કામગીરી શરૂ કરી છે. 'ઓપરેશન અમિસ્તાદ' અંતર્ગત ભારતીય વાયુસેનાના બે સી-17 ગ્લોબમાસ્ટર વિમાનો રાહત સામગ્રી, વિશેષ મેડિકલ ટીમ અને અદ્યતન 'ભીષ્મ ક્યુબ' સાથે વેનેઝુએલા માટે રવાના થયા છે.
આ અભિયાન હેઠળ લગભગ 35 ટન રાહત સામગ્રી અને જરૂરી દવાઓ મોકલવામાં આવી છે. ઉપરાંત ભારતીય સેનાની ફીલ્ડ હોસ્પિટલની 41 સભ્યોની ટીમ પણ મોકલવામાં આવી છે, જેમાં નવ અનુભવી મેડિકલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી સારવાર, ટ્રોમા મેનેજમેન્ટ, જીવનરક્ષક સર્જરી તેમજ અન્ય આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
વિદેશ મંત્રાલય દ્વારા આશરે છ ટન મેડિકલ સાધનો અને માનવતાવાદી રાહત સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ભારતના 'આરોગ્ય મૈત્રી' પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલ 'ભીષ્મ ક્યુબ' પણ મોકલવામાં આવ્યો છે, જે આપત્તિ સમયે ઝડપથી કાર્યરત થઈ શકે તેવી આધુનિક મોડ્યુલર મેડિકલ સુવિધા છે.
ભીષ્મ ક્યુબની વિશેષતા એ છે કે તે ટૂંકા સમયમાં સંપૂર્ણ કાર્યરત ફીલ્ડ હોસ્પિટલમાં પરિવર્તિત થઈ શકે છે. તેમાં પોર્ટેબલ વેન્ટિલેટર, દર્દી મોનિટરિંગ સિસ્ટમ, સર્જિકલ સાધનો, ઓક્સિજન સપોર્ટ, વીજ પુરવઠાની વ્યવસ્થા સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વ્યવસ્થા એકસાથે લગભગ 200 દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે.
ભારતનું 'ઓપરેશન અમિસ્તાદ' વૈશ્વિક સ્તરે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે. સંકટની ઘડીમાં મિત્ર દેશોને સમયસર સહાય પહોંચાડવાની ભારતની નીતિ અને ક્ષમતાને આ અભિયાન વધુ મજબૂત બનાવે છે.




