રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, ગાંધીનગરમાં ‘રણશાળા’ અને School on Wheelsનું લોકાર્પણ



રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, ગાંધીનગરમાં ‘રણશાળા’ અને School on Wheelsનું લોકાર્પણ



ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણને વધુ વ્યાપક અને સર્વસમાવેશક બનાવવા માટે આજથી 23મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે.
ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી દ્વારા ‘રણશાળા’નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા School on Wheels અંતર્ગત 28 બસ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવશે.
આ વિશેષ બસ શાળાઓનો મુખ્ય હેતુ મીઠા ઉદ્યોગમાં કાર્યરત અગરિયા પરિવારોના બાળકોને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવાનો છે. ‘રણશાળા’ અને School on Wheels અંતરિયાળ તેમજ દુર્ગમ વિસ્તારોમાં પહોંચી બાળકોને શિક્ષણ આપશે.
આ ઉપરાંત, અડાલજ સ્થિત કુમાર શાળામાં નાયબ મુખ્યમંત્રી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલી ST બસોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. બસમાં સ્માર્ટ ક્લાસરૂમ, અભ્યાસ માટેની જરૂરી સામગ્રી તેમજ રમત-ગમતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત અને આનંદદાયક શિક્ષણ મળી શકે.
આ કાર્યક્રમ પૂર્વે રાજ્યના વહીવટી કામોની સમીક્ષા માટે ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રજાજનોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે આવી રિવ્યૂ બેઠકો યોજી વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. આજે પણ તમામ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસલક્ષી અને જનહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

