દયાભાભી ક્યારેય ‘તારક મહેતા...’ શોમાં પાછા નહીં ફરે



ફાઇલ તસવીર
દયાભાભી ક્યારેય ‘તારક મહેતા...’ શોમાં પાછા નહીં ફરે



ફાઇલ તસવીર
Disha Vakani: લોકપ્રિય ટીવી સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે, ક્યારેક તેની કોમેડી માટે તો ક્યારેક તેના વિવાદો માટે અને ક્યારેક મોટા પ્રશ્ન માટે કે દયાબેન ક્યારે પાછા ફરશે? જેનિફર મિસ્ત્રી કે જે આ શોમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવતા હતા તેમણે વિવાદાસ્પદ રીતે શો છોડી દીધો હતો. ત્યારે તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે આ શોને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેનિફરે ખુલાસો કર્યો છે કે, દિશા વાકાણી વાપસી કરવાની હતી, પરંતુ કૌટુંબિક મર્યાદાઓને કારણે તે પાછી નહીં ફરે.
તારક મહેતા શો ચાલુ રહેશે
જેનિફરે અસિત મોદી વિરુદ્ધ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે. તે 2023થી આ કેસ લડી રહી છે. જેનિફરે સમજાવ્યું કે, નિર્માતા અસિત મોદીને કોઈ જાય તો પણ કોઈ વાંધો નથી. તેઓ ગમે તે હોય પોતાનું કામ પૂર્ણ કરે છે. આ દરમિયાન દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 10 વર્ષથી શોમાંથી ગેરહાજર છે.
બોલિવૂડ બબલ સાથે વાત કરતાં જેનિફરે કહ્યું કે, ‘આ શો ચાલુ છે અને ચાલુ રહેશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નસીબ કોઈ બદલી નથી શકવાનું. પછી ભલે તે દયાબેન હોય કે દિગ્દર્શક, સોઢી હોય કે હાથી, હું હોય કે ટપ્પુ અને સોનુ... કોઈના જવાથી કોઈ ફરક પડ્યો નથી. દયાના જવાથી પણ કોઈ ફરક પડ્યો નથી. દયા 2017થી આ શોમાં નથી, 10 વર્ષ થવા આવ્યા છતાં શો હજુ ચાલુ જ છે.’
ઓડિશનના નામે અભિનેત્રીને લટકાવી દેવામાં આવી
અવારનવાર સમાચાર આવે છે કે, દયાબેન પાછા ફરી રહ્યા છે, વાપસી કરવાના છે. ફોટા સામે આવે છે, પરંતુ પછી તે અફવા હોવાનું બહાર આવે છે. આનો ઉલ્લેખ કરતા જેનિફરે કહ્યું કે, ‘આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. લોકોને કેવી રીતે વ્યસ્ત રાખવા. કેવી રીતે હાઇપ બનાવવી. જ્યારે હું હજી આસપાસ હતી, ત્યારે અમે એક છોકરીનું ઓડિશન આપ્યું હતું; તે દિલ્હીથી આવી હતી. અમે તેને બે વર્ષ સુધી બ્લોક રાખી હતી, વિચારીને કે આપણે તે કરીશું... આપણે શૂટિંગ કરીશું.’
જેનિફરે અભિનેત્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘તે 100% દયા છે. મારો મતલબ તમે તેના પર વિશ્વાસ નહીં કરો. જ્યાં સુધી તમે તેનો ચહેરો ન જુઓ, ત્યાં સુધી કોઈ કહી શકશે નહીં કે તે દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવેલી દયાબેન નથી. પરંતુ તે ખૂબ જ નાની હતી. કદાચ 26-27 વર્ષની હતી, તેથી તે દિલીપ જોશી સામે ખૂબ જ નાની દેખાતી હતી. તેથી જ અમે તેને કાસ્ટ કરી નહોતી. નહીંતર તે સૌથી સારી પસંદગી હતી.’
દિશા વાકાણી ક્યારેય પરત નહીં ફરે
જેનિફરે વધુમાં સ્પષ્ટતા કરી કે, ગમે તે થાય દિશા વાકાણી પાછી નહીં આવે. દયાબેન પાછી આવી શકે છે. બાકીની માર્કેટિંગ સ્ટ્રેટેજી ચાલુ રહેશે, ફોટા અને પોસ્ટિંગ જોવા મળશે.




