સહકારિતા મંત્રાલયના 5 વર્ષ પૂર્ણ: પીએમ મોદીના નિર્ણયથી સહકારી આંદોલનને મળ્યો નવો પ્રાણ, અમિત શાહનો દાવો



સહકારિતા મંત્રાલયના 5 વર્ષ પૂર્ણ: પીએમ મોદીના નિર્ણયથી સહકારી આંદોલનને મળ્યો નવો પ્રાણ, અમિત શાહનો દાવો



કેન્દ્ર સરકારના સહકારિતા મંત્રાલયની સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મંત્રાલયની પાંચ વર્ષની કામગીરી અને ઉપલબ્ધિઓ રજૂ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણયને કારણે દેશના સહકારી આંદોલનને નવી દિશા અને નવી ઊર્જા મળી છે.
અમિત શાહે જણાવ્યું કે 6 જુલાઈ, 2021ના રોજ કેન્દ્રમાં અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી હતી. અગાઉ સહકારિતા ક્ષેત્રને યોગ્ય પ્રાથમિકતા મળતી નહોતી, પરંતુ હવે તે દેશના ગ્રામિણ વિકાસ અને ખેડૂતોના સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં કેટલાક લોકોએ આ મંત્રાલયનો વિરોધ કર્યો હતો અને તેને રાજ્યનો વિષય ગણાવ્યો હતો, પરંતુ પાંચ વર્ષમાં મંત્રાલયે સાબિત કર્યું છે કે તેનો હેતુ રાજ્ય સરકારોના કામમાં હસ્તક્ષેપ નહીં, પરંતુ તેમને વધુ મજબૂત બનાવવાનો છે.
શાહે જણાવ્યું કે આજે દેશભરની પ્રાથમિક કૃષિ સહકારી સંસ્થાઓ (PACS) એકસરખા મોડેલ બાયલોઝ હેઠળ કાર્ય કરી રહી છે. 55 હજારથી વધુ PACS હવે કોમન સર્વિસ સેન્ટર (CSC) તરીકે 300થી વધુ સેવાઓ આપી રહી છે, જેના કારણે ગામડાંમાં સરકારી અને ડિજિટલ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય સહકારી બીજ ઉત્પાદન સમિતિની સ્થાપના દ્વારા ખેડૂતોને શુદ્ધ અને ગુણવત્તાસભર બીજ ઉપલબ્ધ કરાવવાની સાથે નવી અને વધુ ઉત્પાદન આપતી જાતોના વિકાસ તેમજ પરંપરાગત ભારતીય બીજોના સંરક્ષણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ વર્ષમાં આ સંસ્થા દેશની સૌથી મોટી બિન-સરકારી બીજ ઉત્પાદન સંસ્થા બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન અમિત શાહે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે તો તેમાં ડૉ. મુખર્જીના સંઘર્ષનું મહત્વપૂર્ણ યોગદાન છે. સાથે જ તેમણે કલમ 370 હટાવવાના નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આ પગલાથી ડૉ. મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું છે.




