બેંક લોકરમાં સોનું રાખવાના નિયમો જાણો, નહીં તો નુકસાન



બેંક લોકરમાં સોનું રાખવાના નિયમો જાણો, નહીં તો નુકસાન



Gold Storage Rules: ભારતમાં સોનાને માત્ર રોકાણ નહીં પરંતુ પરિવારની મૂલ્યવાન સંપત્તિ અને સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના કિંમતી દાગીના અને સોનું સુરક્ષિત રાખવા માટે બેંક લોકરની સુવિધાનો ઉપયોગ કરે છે. જોકે, બેંક લોકરમાં સોનું રાખવા અંગે લોકોના મનમાં ઘણીવાર પ્રશ્ન ઊભો થાય છે કે શું ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સોનું રાખવાની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે?
હકીકતમાં, RBIએ બેંક લોકરમાં સોનું રાખવા માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરી નથી. ગ્રાહકો પોતાના લોકરના કદ અને ક્ષમતા અનુસાર જેટલું ઇચ્છે તેટલું સોનું, ચાંદી અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખી શકે છે. બેંકને પણ લોકરમાં શું રાખવામાં આવ્યું છે અને તેની માત્રા કેટલી છે તે જાણવાનો અધિકાર હોતો નથી.
પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે લોકરમાં સોનું રાખતા પહેલાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો સમજવા જરૂરી છે. બેંક માત્ર લોકરની સુવિધા આપે છે, પરંતુ તેમાં રાખેલા સોનાનો અથવા અન્ય સામાનનો વીમો કરતી નથી. એટલે કે, લોકરમાં લાખો કે કરોડો રૂપિયાનું સોનું રાખેલું હોય તો પણ તેની સંપૂર્ણ સુરક્ષા અથવા વળતરની ખાતરી બેંક આપતી નથી.
RBIના નિયમો અનુસાર જો બેંકની બેદરકારી, ચોરી, આગ, લૂંટફાટ અથવા બેંક કર્મચારીઓની છેતરપિંડીને કારણે લોકરમાં રાખેલા સામાનને નુકસાન થાય, તો બેંકની જવાબદારી મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બેંક લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીનું જ વળતર આપવા માટે જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે, જો લોકરનું વાર્ષિક ભાડું 3,000 રૂપિયા હોય, તો મહત્તમ 3 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.
આથી, જેમની પાસે વધુ પ્રમાણમાં સોનું અથવા કિંમતી દાગીના હોય તેમણે અલગથી વીમો કરાવવાનો વિચાર કરવો જોઈએ. બીજી તરફ, ઘરમાં સોનું રાખવા માટે આવકવેરા વિભાગની અલગ માર્ગદર્શિકા છે, જેમાં માન્ય દસ્તાવેજો હોય તો નક્કી મર્યાદા કરતાં વધુ સોનું પણ રાખી શકાય છે.




