ગાંધીનગરમાં ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026’નું ભવ્ય આયોજન થયુ



ગાંધીનગરમાં ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026’નું ભવ્ય આયોજન થયુ



ગુજરાતમાં ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા માટે ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026’નું 11 અને 12 એપ્રિલ દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પો ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. રાજ્ય અને દેશભરના ઉદ્યોગકારો, વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો હતો.
આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ નાના-મોટા ઉદ્યોગપતિઓ, કારીગરો અને યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો હતો. ખાસ કરીને વિશ્વકર્મા સમાજના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અન્ય ક્ષેત્રોના વ્યવસાયકારો માટે પણ આ એક મહત્વપૂર્ણ તક બની રહી હતી.
એક્સ્પોના સભ્ય ભાવિન વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કર્યું હતું. એક્સ્પોમાં 90થી વધુ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા, જેમાં ફર્નિચર, વૂડગ્રાફ, ઈજનેરી અને ફાર્મસી જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટોલ્સનો સમાવેશ થતો હતો. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર એક્સ્પોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિશેષ આકર્ષણ તરીકે ‘જોબ ATM’ પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં નોકરી શોધતા યુવાનો પોતાનો બાયોડેટા આપી શકતા હતા. આ બાયોડેટાને AI દ્વારા સ્કેન કરી તેમની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવતી હતી અને પછી તે 90થી વધુ સ્ટોલ ધરાવતા ઉદ્યોગકારો સુધી પહોંચાડવામાં આવશે.જેથી રોજગારીની તકો ઊભી થાય.
શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ અંબાજીના પ્રમુખ ગણપતિભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે આ એક્સ્પો યોજાયો હતો. બે દિવસના આ કાર્યક્રમમાં પહેલા દિવસે આશરે 4,000થી વધુ અને બીજા દિવસે 5,000થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ આયોજનમાં બે મુખ્ય દિગ્ગજ લોકોને બોલાવવામાં આવ્યા હતા. સંજય રાવલ અને જય વસાવડાને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ એક્સ્પોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં દર વર્ષે આવા એક્સ્પો યોજવાની માંગ ઉઠી રહી છે.




