થલતેજમાં ધાર્મિક મહોત્સવ, સીએમએ રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના



થલતેજમાં ધાર્મિક મહોત્સવ, સીએમએ રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના



અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં નવનિર્મિત ‘શ્રી સનાતન રામધામ મંદિર’ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો, સંતો-મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક આસ્થાનો અનોખો ઉત્સવ બની રહ્યો હતો.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શ્રીરામ દરબાર સહિત વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓનું વિધિવત પૂજન, આરતી અને દર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસર ‘જય શ્રીરામ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
મળતી માહિતી મુજબ આશરે 90 વર્ષ જૂના આ પ્રાચીન મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા દાતાઓના સહયોગથી ભવ્ય જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓ સાથે મંદિરને નવી ભવ્યતા આપવામાં આવી છે, જેના કારણે હવે આ સ્થળ ધાર્મિક આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે.
કાર્યક્રમ દરમિયાન પૂજ્ય સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ મંદિરના જિર્ણોદ્ધાર માટે સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો.




