મોરબીના સિરામિક ઉદ્યોગોને રાહત, 1 મે થી ફરી શરૂ થશે ઉત્પાદન



મોરબીના સિરામિક ઉદ્યોગોને રાહત, 1 મે થી ફરી શરૂ થશે ઉત્પાદન



મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગોને મોટી રાહત મળવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સપ્લાય પર નિયંત્રણ મૂકાયા બાદ છેલ્લા દોઢ મહિનાથી બંધ રહેલા સિરામિક યુનિટ્સ હવે 1 મે થી ફરી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં ગુરુવારે Morbi Ceramic Manufacturers Association ના પ્રતિનિધિઓ અને Gujarat Gas Limited ની મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંહ ઔલાખ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકને સકારાત્મક ગણાવવામાં આવી રહી છે. બેઠક દરમિયાન તમામ ઉદ્યોગોને સમાન દરે ગેસ સપ્લાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાયમાં અછત ઉભી થતાં કેન્દ્ર સરકારે રાજ્યના ઉદ્યોગોને ગેસ પુરવઠો અટકાવ્યો હતો, જેના કારણે મોરબીના મોટા ભાગના સિરામિક યુનિટ્સ બંધ રહ્યા હતા.
હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી હોવાથી ગેસ સપ્લાય ફરી શરૂ થવા લાગી છે. અગાઉ ગુજરાત ગેસ દ્વારા અલગ અલગ દરે ગેસ આપવાનો પ્રસ્તાવ મુકાયો હતો, જેના કારણે ઉદ્યોગકારોમાં અસંતોષ ફેલાયો હતો.
ગુરુવારની બેઠકમાં ગેસના દરોને એકસરખા કરવા અને ઉદ્યોગોને રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. ઉદ્યોગ આગેવાનોનું કહેવું છે કે તેઓ રાજ્ય સરકાર સમક્ષ ગેસ પરનો વેટ ઘટાડવાની પણ માંગ કરશે.
માહિતી મુજબ નવા ગેસના દર શુક્રવારથી અમલમાં આવશે. જોકે યુનિટ્સ ફરી શરૂ થવા છતાં સંપૂર્ણ ઉત્પાદન સામાન્ય સ્થિતિમાં આવવામાં અંદાજે 15થી 20 દિવસ લાગી શકે છે, કારણ કે ઘણા મજૂરો હજુ પોતાના વતનથી પરત ફર્યા નથી.




