Get News Alerts

Never miss breaking news updates.

GSRTC બસોમાં QR કોડ આધારિત પેસેન્જર ફીડબેક સિસ્ટમ શરૂ, મુસાફરો હવે સીટ પરથી જ આપી શકશે ફરિયાદ

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા એક નવી પહેલી શરૂ કરવામાં આવી છે મુસાફરો જ્યારે બસમાં પોતાની સીટ પર બેસશે ત્યારે તેના પાછળ એક ક્યુઆર સ્કેન લગાવાવમાં આવશે. જેથી કરીને મુસાફરો પોતાની ફરિયાદ નોંધાવી શકશે અથા પોતાની ફીડબેક પણ આપી શકશે. અધિકારીની માહિતી મુજબ આવા પ્રકારની સિસ્ટમ લાવવા પાછળનું કારણ એ છે કે બસની સુવિધાઓ અને ફરિયાદો તાત્કાલિક નિરાકણ લાવવા માટે આવા પ્રકારની ક્યુઆર સ્કેન લગાવવામાં આવ્યુ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 01:11 PM IST
GSRTC બસોમાં QR કોડ આધારિત પેસેન્જર ફીડબેક સિસ્ટમ શરૂ, મુસાફરો હવે સીટ પરથી જ આપી શકશે ફરિયાદGSRTC બસોમાં QR કોડ આધારિત પેસેન્જર ફીડબેક સિસ્ટમ શરૂ, મુસાફરો હવે સીટ પરથી જ આપી શકશે ફરિયાદ

ફાઈલ ફોટો

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા મુસાફરોના અનુભવને વધુ સારો બનાવવા માટે QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ નવી પહેલ હેઠળ હવે મુસાફરો બસમાં પોતાની સીટ પાસે લગાવવામાં આવેલા QR કોડ સ્કેન કરીને તરત જ ફરિયાદ નોંધાવી શકે છે, ફીડબેક આપી શકે છે અથવા સેવા રેટિંગ આપી શકે છે.

અધિકારીક માહિતી મુજબ, આ સિસ્ટમનો મુખ્ય હેતુ ફરિયાદોના ઝડપી નિરાકરણ સાથે સેવા ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. તાજેતરમાં AC અને Volvo બસોમાં મુસાફરોએ દુર્ગંધ અંગે ફરિયાદ નોંધાવતા GSRTC દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને રાજ્યભરની બસોમાં એર ફ્રેશનર લગાવવામાં આવ્યા હતા.

માર્ચ 2026ના આંકડા મુજબ મુસાફરોનો સંતોષ દર 5માંથી 4.5 નોંધાયો છે, જે કુલ 1702 પ્રતિસાદ પર આધારિત છે. તેમાં સલામતીને સૌથી વધુ 4.7 રેટિંગ મળ્યું છે, જ્યારે સ્ટાફના વર્તનને 4.6 અને સફાઈને 4.5 રેટિંગ મળ્યું છે. મોટાભાગના મુસાફરોએ 5 સ્ટાર રેટિંગ આપ્યું છે અને સ્ટાફના વર્તનને વિશેષ પ્રશંસા મળી છે.

માર્ચના અંતિમ સપ્તાહમાં જ 372 ફીડબેક નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે, જે મુસાફરોની વધતી ભાગીદારી દર્શાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ચ 2026માં શરૂ કરાયેલ આ સિસ્ટમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તે કામગીરીમાં ખામીઓ શોધવામાં મદદરૂપ બની રહી છે. ફીડબેક સીધા જ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે છે જેથી ઝડપી કાર્યવાહી શક્ય બને.

GSRTC દ્વારા AC અને Volvo જેવી પ્રીમિયમ બસોમાં દરેક સીટ પાછળ QR કોડ લગાવવામાં આવ્યા છે, સાથે જ દરેક બસમાં ઓછામાં ઓછો એક QR કોડ મૂકવામાં આવ્યો છે. મુસાફરો પોતાનું નામ, મોબાઇલ નંબર અને ટિકિટ વિગતો દાખલ કરીને સફાઈ, સમયપાલન, સીટિંગ સુવિધા, સલામતી અને સમગ્ર અનુભવ અંગે રેટિંગ આપી શકે છે. સાથે જ તેઓ ફરિયાદને સપોર્ટ કરવા માટે ફોટો પણ અપલોડ કરી શકે છે.

આગામી સમયમાં બસ ડેપોની સફાઈ પર નજર રાખવા માટે અલગ QR કોડ સિસ્ટમ પણ લાગુ કરવાની યોજના છે. દરેક ડેપો માટે અલગ QR કોડ બનાવવામાં આવશે અને હાલમાં 400થી વધુ કોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પહેલ જાહેર પરિવહનને આધુનિક બનાવવાના પ્રયાસનો એક ભાગ છે અને મુસાફરોના સંતોષમાં વધારો કરવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું કે છેલ્લા એક વર્ષમાં દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે અને નજીકના ભવિષ્યમાં તેને 30 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

હાલમાં GSRTC રાજ્યભરમાં દરરોજ 8000થી વધુ બસો ચલાવે છે અને સરેરાશ 27 લાખ મુસાફરોને સેવા આપે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.