મધ્ય પ્રદેશમાં આગ લાગવાની અફવા સાંભળી મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા, બીજી ટ્રેને ટક્કર મારતા 4ના મોત



મધ્ય પ્રદેશમાં આગ લાગવાની અફવા સાંભળી મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા, બીજી ટ્રેને ટક્કર મારતા 4ના મોત



Train Accident: રવિવારે સાંજે મધ્ય પ્રદેશના મુરેનામાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. ખોટી અફવા ફેલાઈ કે, ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી ગઈ છે અને ગભરાયેલા મુસાફરો પાટા પર કૂદી ગયા હતા અને બીજી ટ્રેને તેમને જોરદાર ટક્કર મારી હતી. સમાચાર એજન્સી ANI અનુસાર, આ અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે.
ઉદયપુર ઇન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન મુરેના જિલ્લામાં દોડી રહી હતી. ટ્રેન હેતમપુર સ્ટેશન નજીક આવી રહી હતી. ત્યારે અફવા ફેલાઈ ગઈ કે,ટ્રેનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતાની સાથે જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગભરાઈ ગયેલા લોકો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદી પડ્યા અને રેલ્વેના પાટા પર પડ્યા હતા.
જેવાં લોકો કૂદી પડ્યા, એવી સામેના પાટેથી આવતી પાતાલકોટ એક્સપ્રેસે તમામ મુસાફરોને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો અચાનક અને હિંસક હતો કે, ઘણા લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અહેવાલો અનુસાર, ચાર લોકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રેલવે અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ આગની અફવા ક્યાંથી ઉદ્ભવી? શું તે જાણી જોઈને ફેલાવવામાં આવી હતી કે ગેરસમજને કારણે? તપાસ ચાલી રહી છે.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરે શું કહ્યું?
ટ્રેનમાં બેઠેલી એક મહિલા મુસાફરે કહ્યું, ‘અચાનક કોઈએ ચેન ખેંચી અને બૂમ પાડી કે, 'આગ લાગી છે, આગ લાગી છે.' લોકો તરત જ ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા. જ્યારે મુસાફરો પાટા ઓળંગી રહ્યા હતા, ત્યારે પાતાલકોટ એક્સપ્રેસ આવી રહી હતી. કેટલાક લોકો ટ્રેનની અડફેટે આવ્યા અને અકસ્માત થયો. એક આખો પરિવાર તેની અડફેટમાં આવી ગયો હતો. આ પરિવારમાં પતિ, પત્ની અને તેમના બે બાળકો હતા.’




