કઠવાડા બન્યું ગૌ સંસ્કૃતિનું તીર્થસ્થળ, 3 દિવસમાં લાખો લોકો ઉમટ્યા



કઠવાડા બન્યું ગૌ સંસ્કૃતિનું તીર્થસ્થળ, 3 દિવસમાં લાખો લોકો ઉમટ્યા



અમદાવાદ અમદાવાદ જિલ્લાના કઠવાડા ગામે એપ્રિલ 20થી 22 દરમિયાન ગૌભક્તિ અને ગ્રામ્ય સંસ્કૃતિનો અદભૂત મેળો જામ્યો. રબારી લાલભાઈ રણછોડભાઈ (લાલાભાઈ કઠવાડા) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ગૌ સેવા ટીમના સહયોગથી આયોજિત “ગૌ સમ્માન કાંકરેજ ગૌ મહાકુંભ”એ ત્રણ દિવસ સુધી કઠવાડાને ઉત્સવધામમાં ફેરવી દીધું.
આ ભવ્ય આયોજનમાં અંદાજે 2.7 લાખથી વધુ લોકોની હાજરી નોંધાઈ, જ્યારે 70 હજારથી વધુ લોકોએ પ્રસાદરૂપે ભોજન ગ્રહણ કર્યું. સમગ્ર ગુજરાતમાંથી આવેલા માલધારીઓએ 150થી વધુ કાંકરેજ ગાયો, વાછરડા, વાછરડીઓ અને નંદી સાથે સ્પર્ધામાં ભાગ લીધો, જેને જોવાનું લોકો માટે વિશેષ આકર્ષણ બન્યું.

મેળામાં ગૌ આધારિત જીવનશૈલી અને કૃષિ પર આધારિત 75 જેટલા સ્ટોલ પણ મુકાયા હતા, જ્યાં મુલાકાતીઓને પરંપરા અને આધુનિકતાનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું. ગૌ સંવર્ધનથી લઈને ઓર્ગેનિક ખેતી સુધીના વિષયો લોકોમાં ખાસ રસ જગાવતા રહ્યા.
આ કાર્યક્રમનો સૌથી આધ્યાત્મિક પળ ત્યારે આવ્યો જ્યારે માલધારી સમાજ, સ્ટોલ માલિકો અને હજારો શ્રદ્ધાળુઓએ મળીને અગ્નિહોત્ર યજ્ઞ અને સુરભી યજ્ઞમાં ભાગ લીધો. સામાજિક સમરસતા અને એકતાનું જીવંત ઉદાહરણ બનેલા આ યજ્ઞે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.
21 એપ્રિલની રાત્રે યોજાયેલા ડાયરાએ તો રેકોર્ડ સર્જી દીધો. અંદાજે 1.5 લાખ લોકો એકસાથે જોડાયા અને લોકસંગીતના તાલે ઝૂમી ઉઠ્યા. ગામડાની સુગંધ અને સંસ્કૃતિના રંગો સાથે આ ડાયરાએ લોકોના દિલ જીતી લીધા.
કુલ મળીને “કાંકરેજ ગૌ મહાકુંભ” માત્ર એક મેળો નહોતો, પરંતુ ગૌસંસ્કૃતિ, સમાજ એકતા અને પરંપરાની ઉજવણીનો એક મહોત્સવ બની રહ્યો — જેની ચર્ચા હવે સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે.

