દિલ્હી સરકારમાં ઈંધણ બચત અભિયાન, મંત્રીઓએ અપનાવ્યો જાહેર પરિવહન



દિલ્હી સરકારમાં ઈંધણ બચત અભિયાન, મંત્રીઓએ અપનાવ્યો જાહેર પરિવહન



નવી દિલ્હી: દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ બુધવારે મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી અને જણાવ્યું હતું કે આ પગલું વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ઈંધણની ખપત ઘટાડવા અને ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અમલમાં મૂકવાના સરકારના પ્રયાસોનો ભાગ છે.
દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મેટ્રો મુસાફરીનો વીડિયો શેર કરતા લખ્યું હતું, “વડાપ્રધાન મોદીના આહ્વાન પર દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તમામ મંત્રીઓએ દૃઢ સંકલ્પ સાથે તેનો અમલ શરૂ કર્યો છે. હું જાહેર પરિવહનનો ઉપયોગ કરીશ અથવા માત્ર જરૂરી હોય ત્યારે જ સરકારી વાહનનો ઉપયોગ કરીશ. આજે સવારે દિલ્હી મેટ્રોની મુસાફરી કરી.”
મંત્રીએ આપેલું આ નિવેદન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઈંધણના ઉપયોગમાં ઘટાડો કરવા અને મંત્રીઓ, ધારાસભ્યો તથા સરકારી અધિકારીઓ વચ્ચે જાહેર પરિવહન અને કારપૂલિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વ્યાપક પહેલ જાહેર કર્યા બાદ એક દિવસ પછી આવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિગતવાર પોસ્ટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને ઊર્જા સંરક્ષણને જનઆંદોલન બનાવવા અપીલ કરી છે.
તેમણે લખ્યું હતું, “વડાપ્રધાનની આ મહત્વપૂર્ણ અપીલને ધ્યાનમાં રાખીને વિભાગીય કામ માટે વાહનોની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હું, મારા તમામ મંત્રીમંડળ સહયોગીઓ, ભાજપના તમામ ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, દિલ્હી સરકારના અધિકારીઓ અને તમામ વિભાગો જરૂર મુજબ ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરશે અને કારપૂલિંગ તથા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપશે.”
ઊર્જા સંરક્ષણને રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલ મુદ્દો જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી સરકાર ઈંધણ બચત અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું, “હું દિલ્હીના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ વડાપ્રધાનની આ અપીલનું પાલન કરીને ઊર્જા સંરક્ષણના આ રાષ્ટ્રીય પ્રયાસમાં જોડાય.”
આ અપીલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે તેલંગાણાના સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં ભાજપની એક જાહેર સભામાં આપેલા ભાષણ બાદ કરવામાં આવી હતી, જેમાં તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેના પ્રભાવને ધ્યાનમાં રાખીને નાગરિકોને ઈંધણ બચાવવાના ઉપાયો અપનાવવા અપીલ કરી હતી.




