દ્વારકાધીશ મંદિરમાં અખાત્રીજથી ‘ચંદન વાઘા’ મનોરથ શરૂ: બે મહિના ઠાકોરજીને શીતળ શૃંગાર અને ઠંડા ભોગ આપવામાં આવશે



દ્વારકાધીશ મંદિરમાં અખાત્રીજથી ‘ચંદન વાઘા’ મનોરથ શરૂ: બે મહિના ઠાકોરજીને શીતળ શૃંગાર અને ઠંડા ભોગ આપવામાં આવશે



દ્વારકા: યાત્રાધામ દ્વારકા મંદિરમાં અખાત્રીજના પાવન પર્વે ‘ચંદન વાઘા’ મનોરથનો પ્રારંભ થયો છે. વર્ષમાં માત્ર એક જ વાર થતો આ વિશેષ શૃંગાર અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે, જેમાં ભગવાન દ્વારકાધીશને ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે.
ગ્રીષ્મ ઋતુના આગમન સાથે આગામી બે મહિના સુધી ઠાકોરજીને શીતળતા પ્રદાન કરવા માટે વિશેષ સેવા-પૂજા કરવામાં આવશે. વૈશાખ સુદ ત્રીજથી અષાઢ સુદ એકમ સુધી ભગવાનને કેસર-ચંદનના લેપ, સુગંધિત પુષ્પ શૃંગાર અને ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે. સામાન્ય ભક્તો ગરમીથી બચવા આધુનિક સાધનોનો સહારો લે છે, ત્યારે મંદિરમાં પરંપરાગત રીતે ભગવાનને શીતળતા આપવામાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે વિશેષ શૃંગાર આરતી બપોરે 12 વાગ્યે યોજાશે, જ્યારે ભક્તો બપોરે 1:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. ઠાકોરજીને કેરી, મુરબ્બો, શીખંડ, ખારી મગની દાળ અને ચણાની મીઠી દાળ જેવા ઠંડક આપતા ભોગ અર્પણ કરવામાં આવશે.
શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા ‘વણજોયું મુહૂર્ત’ માનવામાં આવતો હોવાથી લગ્ન, ગૃહપ્રવેશ અને વાસ્તુ જેવા શુભ કાર્યો માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે રાજાધિરાજ શૃંગારનો અંતિમ દિવસ રહેશે અને સોમવારથી મંદિરમાં ગ્રીષ્મકાલીન સેવા-ક્રમ શરૂ થશે.




